નેપાળની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ લામિછાનેએ બળાત્કારના કેસમાં સરેન્ડર કરવાની તૈયારી કરી લીધી છે. તેણે ફેસબુક પોસ્ટમાં કરી જાહેરાત.
નેપાળની ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન કરશે આત્મસમર્પણ
સંદીપ લામિછાનેએ પર બળાત્કારનો કેસ દાખલ થયો છે
ખેલાડી નેપાળ છોડીને ભાગી ગયો હતો હવે પરત ફરશે
નેપાળની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ લામિછાનેએ બળાત્કારના કેસમાં સરેન્ડર કરવાની તૈયારી કરી લીધી છે. તેના પર 17 વર્ષની સગીર છોકરી સાથે બળાત્કાર કરવાનો આરોપ હતો. પોલીસ આ કેસમાં સંદીપને શોધી રહી છે. તે નેપાળથી ભાગી ગયો હતો. હવે તેણે કહ્યું છે કે તે આત્મસમર્પણ કરવા માટે તૈયાર છે અને 6 ઓક્ટોબરે દેશમાં પરત ફરશે.
ફેસબુક પોસ્ટ કરીને આપી જાણકારી
લામિછાનેએ ફેસબુક પર પોતાની સ્પષ્ટતામાં લખ્યું છે કે, "હું ખૂબ જ આશા અને તાકાત સાથે પુષ્ટિ કરું છું કે હું આ 6 ઓક્ટોબર, 2022 ના રોજ નેપાળ પહોંચી રહ્યો છું અને ખોટા આરોપો સામે કાનૂની લડત લડવા માટે નેપાળના અધિકારીઓને મારી જાતને સોંપીશ." હું પુનરાવર્તન કરું છું કે હું નિર્દોષ છું અને ન્યાય પ્રણાલીમાં અવિરત વિશ્વાસ રાખું છું. હું તમામ કાયદો અને વ્યવસ્થામાં વિશ્વાસ રાખું છું. હું આશા રાખું છું કે શક્ય તેટલી વહેલી તકે ન્યાય મળશે. લામિછાનેએ આગળ લખ્યું છે કે, "મારા પ્રિય શુભેચ્છકો, હું તમને બધાને ખાતરી આપું છું કે હું નિર્દોષ છું અને મેં તમારી સાથે કોઈ અન્યાય કર્યો નથી. હું જે અપ્રિય પરિસ્થિતિમાંથી પસાર થયો હતો તેમાંથી હું બહાર આવી ગયો છું અને મેં મારી જાતને નિર્દોષ અને કાવતરાનો શિકાર સાબિત કરવાની તૈયારી કરી લીધી છે. મને ખાતરી છે કે મારા પર લગાવવામાં આવેલા તમામ ખોટા આરોપો સમયસર બહાર આવશે.
નેપાળ પોલીસે ઈન્ટરપોલની મદદ માંગી હતી
સંદીપના ઠેકાણાની ભાળ ન મળતાં નેપાળ પોલીસે ઇન્ટરપોલની મદદ માંગી હતી. નેપાળ પોલીસની વિનંતી પર ઇન્ટરપોલે નેપાળની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સંદીપ લામિછાને સામે 'ડિફ્યુઝન' નોટિસ ફટકારી હતી. નેપાળની એક અદાલતે 17 વર્ષીય યુવતી પર બળાત્કાર કરવાના આરોપમાં લામિછાને માટે 8 સપ્ટેમ્બરના રોજ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. જોકે લામિછાને હાલ કેરેબિયનમાં છુપાયો છે.