રાજ્યમાં 169 કોરોનાના કેસ થયા છે. ત્યારે અમદાવાદમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. આજે વધુ 13 નવા કેસ નોંધાયા છે. જેમાંથી અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. સોમવારે અમદાવાદમાં 11 કેસ નોંધાયા હતા અને આજે 13 કેસ નોંધાયા છે. એટલે અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં અંદાજે 30 જેટલા કેસમાં વધારો થયો છે. અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. અમદાવાદનો પૂર્વ વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત છે. ત્યારે આ પૂર્વ વિસ્તારનો સંપર્ક ઓછો કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે.
કોરોનાનો કહેર વધતા AMCએ બુધવારથી અમદાવાદમાં નેહરૂબ્રીજ પર જાહેર જનતા માટે પ્રતિબંધ લગાવ્યો છે. આવતીકાલથી બ્રીજ પર હવે કોઇપણ ખાનગી વાહનની અવર જવર બંધ રહેશે. કોટ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતા આ નિર્ણય લેવાયો છે. અમદાવાદ મ્યનિસિપલ કમિશનર વિજય નેહરાએ નેહરૂબ્રિજની સાથે કાલુપુર શાકમાર્કેટ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. આગામી હુકમ ન થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે.
અમદાવાનદ સૌથી સંક્રમિત અને ક્લસ્ટર ઝોન કાલુપુર ટાવર પાસે જ આવેલા છે ફ્રુટ અને શાકમાર્કેટ પણ આ જ વિસ્તારમાં હોવાથી લોકડાઉનનો સંપૂર્ણ અમલ થાય તે માટે લોકો અવરજવર ન કરી શકે તે માટે નિર્ણય લેવાયો છે.
શહેરના 8 વિસ્તાર ક્લસ્ટર કન્ટેન્મેન્ટ
મહત્વનું છે કે, અમદાવાદમાં 15 લોકો વિદેશથી આવેલા સંક્રમિત છે. જ્યારે 27 આંતરરાજ્ય અને 35 લોકલ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. અમદાવાદના 8 વિસ્તાર કાલુપુરના બલોચાવાડને ક્લસ્ટર ક્વોરેન્ટાઇન કરાયો છે. આંબાવાડી, બાપુનગર, દરિયાપુર, દાણીલીમડા સહિતના 8 વિસ્તારને ક્લસ્ટર કન્ટેન્મેન્ટ કરી દેવાયા છે.
અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓની યાદી જાહેર કરાઈ
AMCએ કોરોના પોઝિટિવ 14 દર્દીઓના નામ જાહેર કર્યા છે. જુહાપુરા, દરિયાપુર, કાલુપુર, જશોદાનગર, બોડકદેવના દર્દીઓના નામ જાહેર કર્યા છે. દર્દીઓના સંપર્કમાં આવનારને મનપાનો સંપર્ક કરવા અપીલ કરી છે.