સુરતની જે સિવિલ હોસ્પિટલ છે તે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે. એમાંય ખાસ કરીને સુરતના ગરીબ પરિવારો અને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ માટે આ હોસ્પિટલ એક આશિર્વાદ રૂપ છે. પરંતુ આ સિવિલ હોસ્પિટલના તંત્રની ઘોર બેદરકારી વારંવાર સામે આવી રહી છે. ત્યારે સુરતની સિવિલના ઓપરેશન થિએટર રૂમના કેટલાંક ફોટો વાયરલ થયા છે. જેમાં ખાસ કરીને ઓપરેશન થિએટરની અંદર ફોલ સિલિંગ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. દરવાજાના કાચ પણ તૂટેલા જોવા મળી રહ્યાં છે. એ સિવાયની અનેક કેટલીક બેદરકારી પણ સામે આવી છે.
સુરતમાં કુલ 24 ઓપરેશન થિએટર, જે પૈકી ઘણાં OT બિસ્માર હાલતમાં
વિગતે જો વાત કરીએ તો સુરતમાં કુલ 24 જેટલાં ઓપરેશન થિએટર છે. તે 24 ઓપરેશન થિએટર પૈકી ઘણાં એવાં ઓપરેશન થિએટર છે કે જેની હાલમાં બિસ્માર હાલત છે. સુરતની સિવિલમાં ઓપરેશન થિએટરની અંદર એન્ટ્રી મારતાની સાથે જ બિસ્માર હાલતમાં સિલિંગ ફોલ જોવા મળી રહી છે. જો બહાર જ આવી હાલત હોય તો પછી હોસ્પિટલની અંદરની તો વાત જ શી કરવી. આ બેદરકારીને જો ગુનાહિત બેદરકારી કહીએ તો પણ કંઇ ખોટું નથી કારણ કે અહીં રોજના 100 જેટલાં ઓપરેશન થાય છે. એમાંય ખાસ કરીને જે ઓર્થોપેડિક અને સર્જરી વિભાગ છે એ વોર્ડમાં સૌથી વધારે ઓપરેશન થતા હોય છે. ત્યારે તંત્રની આવી બેદરકારી એ દર્દીઓ માટે સૌથી વધારે જોખમકારક કહી શકાય.
મેન્ટેનન્સને લઇને PIO વિભાગની ઘોર બેદરકારી
તમને જણાવી દઇએ કે, આપણે આની માટે વારંવાર સિવિલનાં તંત્રને જવાબદાર ઠેરવતા હોઇએ છીએ પરંતુ સિવિલની તમામ મેન્ટેનન્સની જવાબદારી એ PIO વિભાગની હોય છે. પરંતુ અહીંયા તેની એટલી ઘોર બેદરકારી છે કે આખીય સિવિલ હોસ્પિટલનું સમગ્ર તંત્ર ખખડી ગઇ હોય, સડી ગયું હોય તેવી અહીં હાલત જોવા મળી રહી છે. જ્યારે આવો કોઇ મુદ્દો મીડિયામાં ઉછળે અને પછી તે કલેક્ટર કચેરી સુધી જાય ત્યારે એ PIO વિભાગ દોડતો થાય છે. જણાવી દઇએ કે, થોડાં દિવસ પહેલાં વોર્ડની અંદર કૂતરાં ફરતા હતાં તેની વીડિયો વાયરલ થયો હતો. એની પહેલાં બાળકોના વોર્ડમાં જે નવા AC હતા તે બંધ થઇ ગયા હતાં. આવી અનેક બેદરકારી સિવિલમાં જોવા મળી રહી છે. ત્યારે અહીં કેટલાંક પ્રશ્નો ઉભા થાય છે જેવાં કે....
સળગતા સવાલ?
આખરે આવાં ઓપરેશન થિયેટરમાં કેવી રીતે સર્જરી થાય?
ચાલુ સર્જરીએ કોઇ અકસ્માત થાય તો કોણ જવાબદાર?
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દી અને તબીબની મુશ્કેલીનો અંત ક્યારે આવશે?
ઓપરેશન થિયેટરની જ આવી હાલત છે તો બાકી હોસ્પિટલની સ્થિતિ કેવી હશે?
શું આ ઓપરેશન થિયેટરમાં દર્દીઓને ઇન્ફેકશનનો ભય નહીં સતાવતો હોય?
શા માટે ઓપરેશન થિયેટરનું સમારકામ થતું નથી?
શા માટે તબીબ બિસ્માર ઓપરેશન થિયેટરમાં સર્જરી કરવા મજબૂર?
હજુ કેટલા દિવસ આ બિસ્માર થિયેટરમાં તબીબોએ ઓપરેશન કરવું પડશે?
જ્યાં ભેજ છે તેમાં કીડા પડેલા છે, જેનાથી દર્દીઓને ઇન્ફેક્શન લાગી શકે
આ બાબતે સમાજસેવી ધર્મેશભાઇએ જણાવ્યું કે, 'અમે હંમેશા પેપરો કે મીડિયા દ્વારા જાણતા હોઇએ છીએ કે, 200 કરોડના ખર્ચે, 300 કરોડના ખર્ચે હોસ્પિટલનું નવીનીકરણ થઇ રહ્યું છે. પરંતુ હાલમાં ઓપરેશન થિએટરની જે પરિસ્થિતિ છે એની અંદર જે તૂટેલી ચીજવસ્તુઓ છે, જે ભેજ ખાઇ ગયું છે, કોરોના કાળ દરમ્યાન લોકોને માસ્ક પહેરવાની સલાહ આપતા હોય છે ત્યારે એ જે ભેજ છે તેમાં કીડા પડેલા છે તો શું તેનાથી દર્દીઓને ઇન્ફેક્શન ના લાગે?
તંત્રની આવી બેદરકારી બિલકુલ ચલાવી ના લેવાય: સમાજસેવક
ચોક્કસથી લાગે એટલે તંત્રની આવી બેદરકારી બિલકુલ ચલાવી ના લેવાય. અમે રાજ્ય સરકાર અને સિવિલ તંત્રના તમામ લોકોને કહેવા માંગીએ છીએ કે, જે નવી બિલ્ડિંગ બની છે તેની અંદર આ ઓપરેશન થિએટરને શિફ્ટ કરી દો. કારણ કે જે ગરીબ દર્દીઓ અહીં આવી રહ્યાં છે તે લોકોને અહીંયા સંતોષ તો થવો જોઇએ ને. આવી તૂટેલી હાલતમાં જ્યારે જો ઓપરેશન થિએટર હોય ત્યારે લોકો શું અપેક્ષા રાખી શકે.