અમીરગઢ તાલુકાના વિરમપુરથી ઈકબાલગઢ જવાના માર્ગ પર ધનપુરા પાસે છેલ્લા 15 વર્ષથી તંત્ર દ્વારા પુલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે
પુલ બનાવવાના કામમાં બેદરકારી
15 વર્ષ બાદ પણ ન બન્યો પુલ
કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી થશે?
એક તરફ સમગ્ર દેશમાં ગુજરાત મોડલની વાહવાહી થઇ રહી છે, ત્યારે બીજી તરફ રાજ્યના અમુક વિસ્તારો વિકાસથી આજે પણ વંચિત છે. મોટા-મોટા શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે કરોડોના ખર્ચે બ્રિજ તૈયાર કરવામાં આવે છે, ત્યારે રાજ્યના જ નાના-નાના જિલ્લામાં વર્ષો બાદ પણ બ્રિજ બનતા નથી. આવી જ એક બ્રિજ ન બનવાની ઘટના બનાસકાંઠામાંથી સામે આવી છે. બનાસકાંઠાના વિરમપુરથી અમીરગઢ જવાના રસ્તા પર 15 વર્ષ પહેલાં બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તાત્કાલિન ધારાસભ્ય વસંત ભટોળે આ બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું. જે આજ સુધી પૂર્ણ થયું નથી. જેથી સ્થાનિકોએ તાત્કાલિક આ બ્રિજનું કામ પૂર્ણ કરવા માગ કરી છે.
વર્ષ 2008માં કરવામાં આવ્યું હતું પુલનું ખાતમુહૂર્ત
અમીરગઢ તાલુકાના વિરમપુરથી ઈકબાલગઢ જવાના માર્ગ પર ધનપુરા પાસે છેલ્લા 15 વર્ષથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે વર્ષ 2008માં ભાજપના ધારાસભ્ય વસંત ભટોળના હસ્તે આ પુલનું ખાતમુહૂર્ત થયું હતું અને ત્યારબાદ 2014માં આ કામ બંધ થઈ ગયું હતું. માર્ગ અને મકાન વિભાગ દ્વારા બે કરોડ 40 લાખની ગ્રાન્ટ ફાળવાઈ હોવા છતાં સાત વર્ષ સુધી આ પુલ અધૂરો રહ્યો હતો ત્યારે હાલ આ પુલનાં શરૂઆતના રસ્તા પર કપચી નાખેલી દેખાઈ રહી છે. સ્થાનિકોની માગણીને લઈને 2022માં ફરીથી પૂલનું કામ શરૂ કરાયું હતું પરંતુ હજુ પણ આ પુલનું કામ પૂરું થયું નથી. વિકાસની વાતો વચ્ચે આ પુલની વિકાસ અટવાયો છે. અંને તેનો ભોગ સ્થાનિક લોકો બની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2008માં આ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે બાદ 2014માં બ્રિજનું કામ બંધ કરવામાં આવ્યું હતું. જે બાદ ફરી 2022માં આ બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
વર્ષ 2022માં ફરીથી પુલનું કામ શરૂ કરાયું હતું
વિરમપુરથી ઈકબાલગઢ અને અમીરગઢ તાલુકા મથક પર જવા માટે નિર્માણ થઈ રહેલા પુલ પરથી જવાય તો માત્ર 15 કિલોમીટરમાં પહોંચી જવાય છે પરંતુ પુલનું કામ ન થયું હોવાને કારણે છેલ્લા 15 વર્ષથી લોકો 25 કિલોમીટર ફરીને અમીરગઢ તાલુકામાં મથકે જઈ રહ્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં માર્ગ અને મકાન વિભાગની ઢીલી નીતિ રહી છે વર્ષોથી 20થી 25 ગામના લોકો પુલ પૂરો કરવાની માગણી કરી રહ્યા છે હાલાકી ભોગવી રહ્યા છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી ત્યારે આ વિસ્તારમાં રહીશોની અને વાહન ચાલકોની માગણી છે કે આ પુલનું કામ ઝડપથી પૂરું થાય.
સ્થાનિકોએ તાત્કાલિક પુલ બનાવવા કરી માગ
આટલા વર્ષોથી બની રહેલા ધનપુરા બ્રિજનું કામ પૂર્ણ ન થતા હવે લોકો પણ અકળાયા છે લોકો માગણી પણ કરી રહ્યા છે કે પુલનું કામ ઝડપથી પૂરું થાય 15 વર્ષનો ગાળો થયો અને આ પુલનું કામ ચાલી રહ્યું છે. ત્યારે અગાઉ બની ગયેલો પુલનો ભાગ પણ હવે જર્જરીત હાલત થવા તરફ જઈ રહ્યો હોવાના દ્ર્શ્યો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આ પુલ કેટલા સમયમાં પૂરો થશે અને ક્યારે લોકોને અહીંથી પસાર થવાની સુવિધા મળશે એ પણ એક મોટો સવાલ છે.
સળગતા સવાલ
15 વર્ષ વિત્યા છતા હજુ સુધી કેમ નથી બન્યો પુલ?
1 પુલ બનાવવા માટે કેમ લાગે છે 15 વર્ષનો સમય?
પુલ બનાવનારા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કેમ નથી થતી?
સ્થાનિકો લોકોને પુલ માટે હજુ કેટલી રાહ જોવી પડશે?
જનપ્રતિનિધિ આ પુલ મુદ્દે કેમ સવાલ કરતા નથી?
જનપ્રતિનિધિ બદલાયા છતા, હજુ સુધી કેમ પુલનું કામ પૂર્ણ નહી?
શું જનપ્રતિનિધિઓને લોકોની સમસ્યા દૂર કરવામાં રસ નથી?
જનપ્રતિનિધિએ ખાતમુહૂર્ત બાદ ક્યારે પુલની જાણકારી મેળવી નથી?