હિન્દુઓના ભગવાન શ્રીરામ અને કૃષ્ણ પર અશ્લીલ ટિપ્પણી મામલે ઈલાહાબાદ હાઇકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું છે કે રામ વગર ભારત અધૂરું છે.
અભિવ્યક્તિની આઝાદી અસીમિત નથી: ઈલાહાબાદ હાઈકોર્ટ
રામ અને કૃષ્ણનું અપમાન આખા દેશનું અપમાન છે: ઈલાહાબાદ હાઈકોર્ટ
કોઈ નાસ્તિક હોય શકે પણ બીજાની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાની આઝાદી નથી: ઈલાહાબાદ હાઈકોર્ટ
રામ વગર તો આ દેશ અધૂરો છે: ઈલાહાબાદ હાઈકોર્ટ
દેશમાં અભિવ્યક્તિની આઝાદીને લઈને ઘણીવાર વિવાદ થતો હોય છે ત્યારે સોશ્યલ મીડિયામાં હિન્દુઓના ભગવાન શ્રીરામ પર અશ્લીલ ટિપ્પણી મામલે ઈલાહાબાદ હાઈકોર્ટે મોટી ટિપ્પણી કરી છે. હાઇકોર્ટે કહ્યું કે રામ વગર આ દેશ અધૂરો છે. જે દેશમાં રહો છે તે દેશના મહાપુરુષો અને સંસ્કૃતિનું સન્માન કરવું ખૂબ જ જરૂરી છે. કોઈ ઈશ્વર માને કે ન માને પણ કોઇની આસ્થા સાથે રમત કરવાનો અધિકાર કોઈને નથી. ઈલાહાબાદ હાઇકોર્ટે કહ્યું કે અભિવ્યક્તિની આઝાદી અસીમિત નથી, કેટલાક પ્રતિબંધો પણ છે. અભિવ્યક્તિની આઝાદીના નામે બીજાની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો અધિકારક કોઈને આપવામાં આવ્યો નથી.
કયા મામલે થઈ રહી હતી સુનાવણી
ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણ પર અશ્લીલ ટિપ્પણી કરવાના કેસમાં સુનાવણીમાં કોર્ટે આકાશ જાટવ ઉર્ફે સૂર્ય પ્રકાશને જામીન આપ્યા છે. જોકે આરોપીનું કહેવું છે કે ભગવાન પર ટિપ્પણી મેં નથી કરી, કોઈએ ફેક આઈડી બનાવીને કરી છે. તેણે એવો પણ તર્ક આપ્યો હતો કે બંધારણમાં અભિવ્યક્તિની આઝાદી છે તેથી આ કોઈ અપરાધ છે જ નહીં. સરકારી વકીલે કહ્યું કે આરોપી અમદાવાદમાં પોતાના મામાના ઘરે ગયો હતો જ્યાં પોતાનું સીમ મામાના છોકરાના મોબાઈલમાં લગાવીને અશ્લીલ પોસ્ટ કરી અને FIR નોંધાતા જ મોબાઈલ અને સીમ કાર્ડ તોડી નાંખ્યું.
મુસ્લિમો પણ કૃષ્ણના ભક્ત છે: ઈલાહાબાદ હાઈકોર્ટ
જે બાદ કોર્ટે કહ્યું કે બંધારણમાં મૂળભૂત અધિકારમાં અભિવ્યક્તિની આઝાદી છે પરંતુ તે અસીમિત નથી. રાજ્યમાં અફવા અને અશ્લીલતા ફેલાવવી એ કોઈ આઝાદી ન કહેવાય. કોર્ટે કહ્યું કે ભારતના બંધારણમાં પણ ભગવાન રામ અને સીતાના ચિત્ર અંકિત કરવામાં આવ્યા છે એવામાં રામ અને કૃષ્ણ સામે કોઈ પણ અશ્લીલ ટિપ્પણી માફ કરી શકાય નહીં. મુસલમાનોમાં પણ કૃષ્ણ ભક્ત છે. રસખાન, અમીર ખુસરો, આલમ શેખ, વાજીદ અલી શાહ વગેરે કૃષ્ણ ભક્ત રહ્યા છે. રામ કૃષ્ણનું અપમાન આખા દેશનું અપમાન છે.