ટ્રેનમાં ચોરી અથવા સ્નેચિંગની ઘટનાની એફઆઈઆર હવે રેલવે મુસાફરો ચાલતી ટ્રેનમાં પણ નોંધાવી શકશે. આ માટે આજથી 'સહયાત્રી' નામની એક એપ્લિકેશન લૉન્ચ કરવામાં આવી છે. આ એપમાં મુસાફરો જીઆરપી દિલ્હીથી સંબંધિત કેસ નોંધી શકશે. ઉપરાંત, તમે રેલવેથી સંબંધિત તમારો કોઈપણ પ્રતિસાદ પણ આપી શકો છો.
બીજી તરફ દેશભરમાં જીઆરપી પોલીસ માટે એક વેબસાઇટ પણ શરૂ કરવામાં આવી રહી છે, જેમાં તમામ રાજ્યોની જીઆરપી પોલીસ પણ તેમના સંબંધિત રાજ્યોના મોસ્ટ વૉન્ટેડ અને અન્ય અપરાધીઓના ડેટા શેર કરી શકશે. પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકે કહ્યું હતું કે, 10 ઓક્ટોબરથી સહયાત્રી નામની મોબાઇલ એપ્લિકેશન લૉન્ચ કરવામાં આવશે.
આ ઉપરાંત ટૂંક સમયમાં જ વેબસાઇટ www.railwaysdelhipolice.gov.in પણ શરૂ કરવામાં આવશે. આ બંને સુવિધાઓ ફક્ત રેલ્વે મુસાફરો માટે જ રહેશે. આ દિલ્હી જીઆરપી દ્વારા તૈયાર કરાઈ છે. જ્યારે વેબસાઇટ દેશભરની જીઆરપી માટે બનાવવામાં આવી છે. જેમાં અપરાધીઓના ડેટા શેર કરીને ગુનાઓ પર અંકુશ લાવવાની સાથે સાથે જીઆરપીને પણ ગુનેગારો વિશેની સંપૂર્ણ માહિતી એક ક્લિકથી જ મળશે.
ઈન્ટેલિજન્સ વિભાગના વિશેષ કમિશનર પ્રવીર રંજને કહ્યું કે, આ એપ દ્વારા રેલ્વે મુસાફરોને એફઆઈઆર નોંધાવવા માટે પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂર નહીં પડે. મુસાફરો ચાલતી ટ્રેનમાંથી પણ સહયાત્રી એપ્લિકેશન દ્વારા પોતાની એફઆઈઆર નોંધાવી શકશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડી જીઆરપીની વેબસાઇટ સહયાત્રીનો શુભારંભ કરશે. આ કાર્યક્રમનું આયોજન એનડીએમસીના સભાગૃહમાં કરવામાં આવ્યું છે. ઉપરોક્ત વેબસાઇટ પરથી મુસાફરો રેલ્વેમાં બનતી કોઈપણ ગુનાની ઘટનામાં આસાનીથી ફરિયાદ દાખલ કરી શકશે.
રેલવેના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે, આ એપ દ્વારા બે પોલીસ સ્ટેશન વચ્ચેનો હદનો વિવાદ પણ સમાપ્ત થઈ જશે. સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં દિલ્હી પોલીસની વેબસાઇટ પરથી અથવા તત્કાલ એપ પરથી પણ એફઆઈઆર નોંધવામાં આવી રહી છે, પરંતુ આ એપ ફક્ત રેલવે મુસાફરો માટે હશે. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, હવે મુસાફરોએ એપ્લિકેશનની સુવિધા મળવાથી એફઆઈઆર નોંધાવવા માટે પોલીસ સ્ટેશન સુધી જવું પડશે નહીં.