દેશના ઉપલા ગૃહ કહેવાતા રાજ્યસભામાં 26 માર્ચે ચૂંટણી યોજાવાની છે. લોકસભામાં ભાજપ પાસે જ્યાં સ્પષ્ટ બહૂમતિ છે. પરંતુ રાજ્યસભામાં સૌથી મોટો પક્ષ ભાજપ છે પરંતુ સ્પષ્ટ બહુમતિ નથી. ત્યારે ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર આવ્યા છે.
26 માર્ચના યોજાશે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી
ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર
NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપને મત આપે તેવી શક્યતા
રાજ્યમાં માર્ચ મહિનામાં ફરી ચૂંટણીનો માહોલ જોવા મળશે. આગામી સમયમાં ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો માટે આગામી 26 માર્ચે ચૂંટણી યોજાશે અને આ જ દિવસે ચૂંટણી બાદ મતગણતરી યોજાશે. ત્યારે આ ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ બેઠકો જીતવા કામે લાગી ગયું છે. આ વચ્ચે ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને NCP ટેકો આપે તેવી શક્યતાઓ છે. NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા પક્ષ વિરૂદ્ધ જઇને ભાજપને મત આપે તેવી શક્યતાઓ જણાય રહી છે. ત્યારે આ નિર્ણય કોંગ્રેસ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
મહત્વનું છે એપ્રિલ મહિનામાં રાજ્યસભાની 55 બેઠકો ખાલી થઇ રહી છે. જેને લઇ 26 માર્ચે 7 રાજ્યોની 55 બેઠકો માટે ચૂંટણી યોજાશે. ત્યારે મળતી માહિતી મુજબ ભાજપ પોતાના સાંસદને ફરીવાર રિપિટ નહીં કરે. અને કોંગ્રેસ પણ મધુસુદન મિસ્ત્રીને ફરી રિપિટ નહીં કરે. રાજ્યસભામાં ભાજપ અને કોંગ્રેસ બે-બે સીટ પર જીતી શકે છે. હાલ ભાજપ પાસે 103 ધારાસભ્ય અને કોંગ્રેસ પાસે 73 ધારાસભ્ય છે. જ્યારે બીટીપીના 2 અને એનસીપી-અપક્ષના એક એક ધારાસભ્યછે. ત્યારે સંખ્યા બળની દ્રષ્ટિએ ભાજપ 2, કોંગ્રેસ 1 સીટ પર મજબુત છે. જો કે કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવે તો બીજી સીટ પણ મેળવી શકે છે. જ્યારે ભાજપ તોડ-જોડના રસ્તે ત્રીજી સીટ પણ મેળવી શકે છે. એટલે કે આ વખતે પણ રાજ્યસભાની ચૂંટણી રસપ્રદ બનવાની શક્યતા છે. ગુજરાતમાં રાજ્યસભમાંથી જે સભ્યોની મુદત પૂરી થઇ રહી છે તેમાં ચુનીભાઇ ગોહેલ, લાલસિંહ વાડોદીયા, શંભુપ્રસાદ ટુંડિયા અને કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCPનું ગઠબંધન છે. જોકે ગુજરાતમાં કોંગ્રેસ અને NCPનું ગઠબંધન નથી. ત્યારે હવે ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી પહેલા આ પ્રકારની ચર્ચાથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.