NCP પ્રમુખ શરદ પવાર દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીમાં 'નિરંતરતાની ઉણપ' વાળી ટિપ્પણી પર હવે પાર્ટીએ સ્પષ્ટતા કરી છે. NCPએ જણાવ્યું છે કે આ ટિપ્પણી માત્ર એક 'પિતા જેવી સલાહ' હતી. શરદ પવારને પૂછવામાં આવ્યું હતું કે શું દેશ રાહુલ ગાંધીને નેતા માનવા માટે તૈયાર છે? તેના પર શરદ પવારે કહ્યું હતું કે આ સંબંધમાં કેટલાક સવાલ છે.
કોંગ્રેસ, NCP અને શિવસેના મળીને મહારાષ્ટ્રમાં મહાવિકસ અઘાડી ગઠબંધન સરકાર ચલાવી રહ્યાં છે. પરંતુ શરદ પવારની ટીપ્પણીને લઇને કોંગ્રેસના એક જૂથમાં ખાસી નારાજગી જોવા મળી.
NCP પ્રવક્તા મહેશ તાપસેએ આજે કહ્યું કે શરદ પવારની ટીપ્પણીને 'પિતા જેવી સલાહ' તરીકે લેવામાં આવવી જોઇએ. પાસેએ સમાચાર એન્જસી ANI ને જણાવ્યું કે એક સમાચાર સંગઠનની સાથેની ચર્ચામાં શરદ પવારે જે કહ્યું તે એક અનુભવી નેતાની પિતાતૂલ્ય સલાહ તરીકે માનવી જોઇએ.
મહાવિકાસ અઘાડીમાં ત્રણ પાર્ટીઓની સરકાર છે. આ શરદ પવાર હતા કે જેમણે પોતાની પુસ્તકમાં રાહુલ ગાંધી પર ટિપ્પણી કરવા પર બરાક ઓબામાની ટીકા કરી હતી. શરદ પવારે સ્પષ્ટ કહ્યું હતું કે ઓબામાએ અન્ય દેશના નેતાઓ પર ટિપ્પણી ન કરવી જોઇએ.
એનસીપી પ્રમુખની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા મહારાષ્ટ્રના મંત્રી અને કોંગ્રેસના નેતા યશોમતિ ઠાકુરે ગઠબંધન અને સહયોગી પાર્ટીઓને આગ્રહ કર્યો હતો કે જો તેઓ મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર ઇચ્છે છે તો કોંગ્રેસના નેતૃત્વ પર ટિપ્પણી કરવાનું બંધ કરી દે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રિય નેતા તરીકે રાહુલ ગાંધીની વિશ્વસનીયતા પર ટીપ્પણી કરતાં NCP પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે રાહુલ ગાંધીમાં કેટલાંક અંશે 'નિરંતરતા' ની ઉણપ લાગે છે. જ્યારે શરદ પવારને એમ પુછવામાં આવ્યું કે દેશ રાહુલ ગાંધીને નેતા માનવા માટે તૈયાર છે તો કહ્યું કે આ સંબંધમાં કેટલાંક સવાલ છે. રાહુલ ગાંધીમાં નિરંતરતાની ઉણપ લાગે છે.
કોંગ્રેસના ભવિષ્યને લઇને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે શું રાહુલ ગાંધી પાર્ટી માટે 'બાધા (મુશ્કેલી)' બની રહ્યાં છે તો શરદ પવારે કહ્યું હતું કે કોઇપણ પાર્ટીનું નેતૃત્વ એ વાત પર નિર્ભર કરે છે કે સંગઠનની અંદર તેને કઇ રીતે સ્વીકાર કરવામાં આવે છે.