કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી જાહેર થઇ છે. તેવામાં NCP નેતા શંકરસિંહ વાઘેલાના કેટલાક નિવેદન સામે આવી રહ્યા છે. શંકરસિંહ વારંવાર દારૂબંધી હટાવવા અને રાજ્યમાં દારૂના વેચાણને શરૂ કરવા અંગે નિવેદનો આપી ચૂક્યા છે. ત્યારે તેમણે વધુ એક આ અંગે વિવાદસ્પદ નિવેદન આપ્યું છે.
આદિવાસીઓના જીવન ધોરણને લઈને નિવેદન
ગુજરાતમાં દારૂ વેચાવો જોઈએઃ શંકરસિંહ
મહુડાના ફૂલનો દારૂ વેચાવો જોઈએઃ શંકરસિંહ
પૂર્વ મુખ્યમંત્રી અને NCPના નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, ગુજરાતમાં દારૂ વેચાવો જોઇએ. આદિવાસી વિસ્તારમાં મહુડાના ફુલ, જુવાર, ચોખા, મોલાસીસનો દારૂ વેચાવો જોઇએ. આ દારૂના વેચાણથી આદિવાસીઓનું જીવન ધોરણ સુધરશે.
શંકરસિંહે કહ્યું કે, આદિવાસી સમાજ દુઃખી છે, આજે પણ લોકો ભૂખ્યા છે, ગ્રેજ્યુએટ દીકરાઓ બેકાર છે. ત્યારે આ સમાજના ગ્રેજ્યુએટ છોકરાઓને દારૂ વેચવાનું લાયસન્સ આપો. જુવાર, મહુડા, ચોખા, મોલાસીસ જ્યાંથી પણ બને, લોકો નવસારીનું કેમિકલનું દારૂ પીને મરી જાય છે. તો સારી બ્રાન્ડનો દારૂ આપો. જેનાથી સમાજ સુખી થાય અને તેના બાળકો પણ સુખી થાય.
શંકરસિંહે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં અંગે કહ્યું કે, ભાજપે કોરોના મહામારીમાં ખરીદ-વેચાણ સંઘ શરૂ કર્યો છે. કોંગ્રેસ ઘોડા છુટી ગયા બાદ તબેલે તાળુ મારવા નિકળે છે.
ગુજરાતમાં જ દારૂની છુટ્ટી આપી દોઃ શંકરસિંહ
થોડા દિવસો અગાઉ તેમણે એક વીડિયો શેર કરીને કહ્યું હતું કે, જો મારી સરકાર આવશે તો સૌથી પહેલું કામ દારૂબંધીની આ ઢોંગી નીતિને તોડવાનું કરીશ. 100 દિવસમાં કાયદો થશે અને કાયદો એવો થશે કે લોકોએ દારૂ પીવા દિવ-દમણ, આબુ, ગોવા, મુંબઇ કે રાજસ્થાન જવાની જરૂર નહીં પડે. તેમણે વધુમાં કહ્યું હતુ કે, દર કિલોમીટરે દારૂ મળે છે. સરકાર પકડે છે તે તો ખાલી ટ્રેલર છે. નાના યુવાનો ખોટો દારૂ પીને બરબાદી વહોરે છે. ગુજરાત સરકાર કમિટિ બનાવે અને ગુજરાતની જનતાને પૂછે કે, આબુ જતા હોવ અને દારૂ પીવા જતા હોય તો તે અંગે વિચારીને ગુજરાતમાં જ દારૂની છુટ્ટી આપી દો.