મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ યથાવત છે. દરમિયાન ધારાસભ્ય નીતિન પવાર કાલવાન વિધાનસભા મત વિસ્તારમાંથી ગુમ થયા છે. ધારાસભ્યના પુત્રએ નાસિકના પંચવટી પોલીસ સ્ટેશનમાં પિતાના ગુમ થયાની જાણ કરી છે. ધારાસભ્ય નીતિન પવાર 23 મીએ સવારે 6:30 વાગ્યે મુંબઇથી રવાના થયા હતા પરંતુ ઘરે પરત ફર્યા નહોતા. નીતિન પાવર સહિત 3 ધારાસભ્યોનો હજી સંપર્ક થઇ શક્યો નથી.
મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ યથાવત
NCP ના એક ધારાસભ્ય ગુમ
દીકરાએ પોલીસ સ્ટેશને નોંધાવી ફરિયાદ
એનસીપીના પ્રમુખ શરદ પવાર સાથેની બેઠક બાદ તમામ ધારાસભ્યોને પવઈની રેનાસેન્સ હોટલમાં લઈ જવામાં આવ્યા હતા. ધારાસભ્યો સાથે વાયબી સેન્ટરથી નીકળેલી બસ હોટલ પહોંચી હતી. તમામ પક્ષો તેમના ધારાસભ્યોને હોર્સ ટ્રેડિંગના ડરથી બચાવવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં નાટકીય ઘટનાક્રમ
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા નાટકીય ઘટનાક્રમ અંતર્ગત શનિવારે સાંજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ની બેઠકમાં પાર્ટીએ અજિત પવાર પર કાર્યવાહી કર્યા બાદ તેમને વિધાનસભા પક્ષના નેતા પદેથી હટાવ્યા છે.
જયંત પાટિલની ઘારાસભ્ય દળના નેતા તરીકે કરાઇ પસંદગી
એનસીપીએ તેમના સ્થાને પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલને ધારાસભ્ય દળના નવા નેતા તરીકે પસંદ કર્યા છે. ધારાસભ્ય સાથે એનસીપી અધ્યક્ષ શરદ પવાર અને વરિષ્ઠ નેતાઓએ મુંબઈમાં પાર્ટીની બેઠકમાં ભાગ લીધો હતો. તેમને ધારાસભ્યોને વ્હીપ આપવા ઉપરાંત અન્ય અધિકાર આપવામાં આવ્યા હતા, જેને તાત્કાલિક અસરથી પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.
શરદ પવારની નજીકના નેતા છે જયંત પાટિલ
મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત ગરમી જોવા મળી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના નેતા અજિત પવારે બળવો કર્યા પછી એનસીપીએ શનિવારે તેના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી અને મોટી કાર્યવાહી કર્યા બાદ અજિત પવારને ધારાસભ્ય પક્ષના નેતા પદેથી હટાવ્યા હતા. જયંત પાટિલને અજિત પવારની જગ્યાએ એનસીપી વિધાનસભા પક્ષના નવા નેતા તરીકે વરણી કરવામાં આવી હતી.
શરદ પવારના ખૂબ જ નજીકના નેતાઓમાં ગણાતા જયંત રાજારામ પાટિલ મહારાષ્ટ્રના રાજકારણમાં એક જાણીતું નામ છે. તે ઇસ્લામપુર વાલવા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય છે. તે પૃથ્વીરાજ ચવ્હાણ સરકારમાં ગ્રામીણ વિકાસ પ્રધાન રહી ચૂક્યા છે. આ પહેલા તેઓ નાણાં પ્રધાન અને ગૃહ પ્રધાન પણ રહી ચૂક્યા છે.