ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં રાજયસભાની ચૂંટણીને લઇ રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યની રાજ્યસભાની ચૂંટણીને લઇને બંને પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. ત્યારે NCP નો એકમાત્ર મત કયા પક્ષમાં પડ્યો તેને લઇને સસ્પેન્સ યથાવત છે. NCP નેતા કાંધલ જાડેજાએ પક્ષના આદેશ અનુસાર મત કર્યું હોવાનું જણાવ્યું હતું.
રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કર્યા બાદ નિવેદન આપતાં કાંધલ જાડેજાએ જણાવ્યું હતું કે તેઓએ પક્ષના કહેવા મુજબ રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન કર્યું છે. મત કોને આપ્યો તે કહીશ તો ગુપ્ત મતાનનો મતલબ નહીં રહે.
જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર NCP નેતા કાંધલ જાડેજાએ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને મત આપ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. જો કે પક્ષના વ્હીપનો અનાદર કરી ભાજપને મત આપ્યો હોય તો તેના પર શું એકશન લઇ શકાય તેને લઇને અટકળો તેજ બની ગઇ છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 19, 2020
NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાના મતદાન અંગે રાજકારણ ગરમાયું
NCP ના ધારાસભ્ય કાંધલ જાડેજાના રાજ્યસભાની ચૂંટણીમાં કરેલા મતદાનને લઇને રાજકારણ ગરમાયું છે. કાંધલ જાડેજાએ વ્હીપનો અનાદર કરીને ભાજપને મત આપ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ઉલ્લેખનીય છે કે NCPએ ધારાસભ્યને કોંગ્રેસને મત આપવાનો વ્હીપ જારી કર્યો હતો.
કાંધલ જાડેજાની સામે પક્ષ નથી લઈ શકતું સીધી રીતે પગલા
જો કે વિશ્લેષકોના મત મુજબ જો કાંધલ જાડેજાએ વ્હીપનો અનાદર કરીને ભાજપને મત આપ્યો હોય તો પણ પક્ષ કાંધલ જાડેજા સામે સીધી રીતે પગલા ન લઇ શકે. કાંધલના ક્રોસ વોટિંગ બાદ પણ પક્ષ તરફથી તેના પર કોઇ એકશન લઇ શકાય તેમ નથી. જો કાંધલ સામે પગલા લેવાય તો કોર્ટમાં પડકારી શકાય તેમ છે. NCP ના ઉમેદવાર રાજ્યસભાની ચૂંટણી લડ્યા ન હોવાથી કોઇ પગલા લઇ શકાય નહીં.