લોકસભા ચૂંટણીને આડે હવે જ્યારે થોડા મહિના બાકી રહ્યાં છે ત્યારે બધા રાજકીય પક્ષો પોતાની શક્યતાઓ શોધવામાં પડી ગયા છે અને એકબીજા સાથે ગઠબંધન કરવાના પ્રયત્ન કરી રહ્યાં છે.
આ વચ્ચે મહારાષ્ટ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચેના ગઠબંધન પર જ્યાં સંકટના વાદળો ઘેરાયા છે તો બીજી તરફ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) વચ્ચે મહારાષ્ટ્રમાં લોકસભા બેઠકોને લઇને સમજૂતિ થઇ છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે કોંગ્રેસ સાથે લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં ગઠબંધનની જાહેરાત કરી છે. પ્રફુલ્લ પટેલે જણાવ્યું છે કે એનસીપી અને કોંગ્રેસ મહારાષ્ટ્રમાં એકસાથે લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.
મહારાષ્ટ્રમાં અમે 40 બેઠક પર સાથે મળીને ચૂંટણી લડીશું જ્યારે અન્ય 8 બેઠકો પર નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે. મહારાષ્ટ્રમાં 48 લોકસભા બઠક છે અને બંને પક્ષો 40 બેઠક પર સાથે ચૂંટણી લડવાના નિર્ણય બાદ હવે એનસીપી અને કોંગ્રેસ 20-20 બેઠક પર ચૂંટણી લડશે.
કોંગ્રેસ અને એનસીપીએ આગામી લોકસભા ચૂંટણીને લઇને શુક્રવારે બેઠક બોલાવી હતી. એનસીપી પ્રમુખ શરદ પવાર પણ આ બેઠકમાં સામેલ થયા હતા.
આમ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાના પ્રયત્નમાં એકસાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. જો કે હજી મહારાષ્ટ્રની આઠ બેઠકને લઇને બંને પક્ષ વચ્ચે કોઇ સમજૂતિ થઇ નથી.
જે આઠ બેઠક પર સહમતિ થઇ નથી તેમાં પૂના અને અહમદનગર સંસદીય બેઠકનો સમાવેશ થાય છે. આમ લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની 48 બેઠકોમાં કોંગ્રેસ અને એનસીપી 20-20 બેઠકો પર ચૂંટણી લડવા રાજી થઇ ગયા છે.