નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આજે સુશાંત સિંહ રાજપૂતની મોત કેસમાં ડ્રગ એંગલની તપાસના સંદર્ભમાં કરિશ્મા પ્રકાશ ઉપરાંત ફિલ્મ અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરી હતી. આ પૂછપરછ લગભગ 5 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. પૂછપરછ દરમિયાન ત્રણેય અભિનેત્રીઓએ ડ્રગનું સેવન કરવાના આરોપને નકારી દીધો હતો. જોકે દીપિકા પાદુકોણે ડ્રગ ચેટની કબૂલાત કરી હતી. પૂછપરછ કર્યા બાદ એનસીબીએ કહ્યું કે તેમાંથી કોઈને પણ ફરીથી સમન્સ મોકલવામાં આવ્યું નથી.
NCBએ દિપીકા, સારા અને શ્રદ્ધાની પૂછપરછ કરી
અભિનેત્રીઓએ ડ્રગનું સેવન કરવાના આરોપને નકારી દીધો
દીપિકા પાદુકોણે ડ્રગ ચેટની કબૂલાત કરી
મીડિયા સાથે વાત કરતાં એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્ર) મુશા અશોક જૈને કહ્યું, 'આજે કરિશ્મા પ્રકાશ, દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરના નિવેદનો નોંધવામાં આવ્યા છે. ક્ષિતિજ પ્રસાદ નામની એક વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે. આવતીકાલે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
અશોક જૈને કહ્યું, 'હજુ સુધી અન્ય કોઈને સમન્સ મોકલવામાં આવ્યા નથી. હવે ઘણાં સમયથી અમારી તપાસ ચાલી રહી છે અને ઘણાં લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ઘણાં લોકોની પૂછપરછ બાદ રિકવરી પણ કરવામાં આવી છે. અમે બેસીને તેની સમીક્ષા કરીશું અને આગળની યોજના બનાવીશું. હજી સુધી કોઈને સમન્સ મોકલ્યો નથી. હું તપાસની વિગતો શેર કરી શકતો નથી. પરંતુ આપણે ભવિષ્ય વિશે કંઇ કહી શકીએ નહીં. અત્યાર સુધીમાં અમે આ કેસમાં 18થી વધુ લોકોની ધરપકડ કરી છે અને આ કેસ કોર્ટમાં વિચારણા હેઠળ છે.
પૂછપરછ દરમિયાન પાદુકોણનો સામનો તેની મેનેજર કરિશ્મા પ્રકાશ સાથે પણ થયો હતો. પ્રકાશની વ્હોટ્સએપ ચેટ એન્ટી નાર્કોટિક્સ એજન્સીના રડાર પર છે. જેમાં કથિત રીતે ડી નામના શખ્સની સાથે ડ્રગ્સને લઈને વાતચીત કરવામાં આવી છે.