જમ્મૂ-કાશ્મીરના 33 નેતાઓના વિદેશ જવા પર રોક લગાવામાં આવી છે. જેને લઇને નેશનલ કોન્ફરન્સના પૂર્વ ધારાસભ્ય અલતાફ અહમદ વાણીને દિલ્હી એરપોર્ટ પર દુબઇની ફલાઇટમાં બેસવા જતા રોકી દેવામાં આવ્યાં. અધિકારીઓએ જણાવ્યું કે તેમને વિદેશ યાત્રાની મંજૂરી નથી. અલગ-અલગ પાર્ટીના નેતાઓની આ યાદીમાં પૂર્વ મુખ્યમંત્રી ડૉ. ફારુક અબ્દુલા, ઓમર અબ્દુલ્લા અને મહેબુબા મુફતીનું નામ સામેલ નથી.
દુબઇમાં એક પરિવારના કાર્યક્રમમાં ભાગ લેવા જઇ રહેલા પહલગામના ધારાસભ્ય રહી ચૂકેલા વાણીને ફોન પર ખાનગી મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, મને રોકવા માટે અધિકારીઓનો આભાર. મારી પાસે હવે કોઇ સામાન નથી, કારણ કે મારી બેગ પરિવારના અન્ય સભ્યો સાથે ચાલી ગઇ છે. હું દિલ્હીમાં છું.
વાણીએ કહ્યું કે હું બપોરનો એરપોર્ટ પહોંચી ગયો હતો. ઇમિગ્રેશન કાઉન્ટર પર પહોંચતાની સાથે જ મને અલગ રુમમાં લઇ જવામાં આવ્યો. મને એવું લાગ્યું કે પાસપોર્ટમાં કોઇ ખામી છે, પરંતુ ત્યાં મને અંદાજે 3 કલાક બેસાડી રાખવામાં આવ્યો. તેને લઇને કોઇ સ્પષ્ટીકરણ પણ આપવામાં આવ્યું નહી. જમ્મૂ-કાશ્મીર પોલીસના અધિકારીઓના હસ્તક્ષેપ પછી તેમને જવા દેવામાં આવ્યાં.
વાણી કહ્યું કે ત્યાર પછી મે પરિવારને યાત્રા પર જવા કહ્યું અને ઇમિગ્રેશન વિભાગને આ મુદ્દે સ્પષ્ટતા કરવા કહ્યું. અંદાજે ત્રણ કલાક પછી વાણીને પાસપોર્ટ પરત કરતા જણાવામાં આવ્યું કે માર્ચ-2021 સુધી તેમની વિદેશયાત્રા પર રોક છે.