કોંગ્રેસ પ્રદેશ મહિલા મોરચાના મંત્રી અને રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ આજે ફરી ભાજપના ઉમેદવાર રીવાબા પર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું છે કે, રિવાબા જાડેજાનું રાજકોટમાં મતદાન મથક છે. ખૂદને વોટ ન આપનારાને લોકો કેમ વોટ આપે?
નયનાબાએ ભાભી રિવાબા જાડેજા સામે કર્યા આક્ષેપો
રિવાબા જાડેજાનું રાજકોટમાં છે મતદાન મથકઃ નયનાબા
ખૂદને વોટ ન આપનારાને લોકો કેમ વોટ આપે?: નયનાબા જાડેજા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. રાજ્યમાં છેલ્લા છ ટર્મથી ભાજપ સત્તા પર છે. ભાજપ આ અજેય કિલ્લો ગુમાવવાના મૂડમાં નથી. તેથી તેણે આ વખતે ખૂબ જ કાળજીપૂર્વક ઉમેદવારોની પસંદગી કરી છે. આ કડીમાં પાર્ટીએ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને રાજકીય મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ તેમને જામનગર ઉત્તરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તો કોંગ્રેસે બિપેન્દ્રસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટીએ કરશન કરમુરને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
નયનાબાએ ભાભી રિવાબા જાડેજા સામે કર્યા આક્ષેપો
વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે જામનગરમાં જાડેજા પરિવાર સામસામે આવી ગયો હોય તેવું દેખાઇ રહ્યું છે. કોંગ્રેસ પ્રદેશ મહિલા મોરચાના મંત્રી અને રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા આજે ફરી રીવાબા પર આક્ષેપ કર્યા છે.
ખૂદને વોટ ન આપનારાને જનતા કેમ વોટ આપે?: નયનાબા
તેમણે કહ્યું કે, રિવાબા વારંવાર કહે છે કે હું અહીંયા જ રહીશ. તમે જોઈ શકો છો રિવાબાનું ચૂંટણીકાર્ડ હજુ પણ રાજકોટ પશ્ચિમનું છે. રિવાબા અહીં પોતાનો મત આપી શકે તેમ નથી. અમારો પ્રશ્ન એજ છે કે જે ઉમેદવાર પોતાને મત નથી આપતા જનતા તમને કેમ મત આપે?
ચૂંટણી બાદ તેઓ રાજકોટ જ રહેવાના છે: નયનાબા જાડેજા
તેઓ જણાવ્યું કે, રાજકોટના લોકોને રાજકોટના લોકલ પ્રશ્નો શું છે તેનો તેમને વધારે ખ્યાલ હોય, બાકી તો ફોરેન ટ્રીપમાં ફરતા હોય છે. લોકલને જ લોકોના પ્રશ્નો શું છે એ વધારે ખબર હોય.
હકુભાની જગ્યાએ રીવાબાને મળી ટિકિટ
જામનગર ઉત્તર બેઠક પરથી ધમેન્દ્રસિંહ મેરુભા જાડેજા (હકુભા)ની ટિકિટ કાપવામાં આવી છે. તેમની જગ્યાએ રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. જામનગર ઉત્તર 78 વિધાનસભા બેઠકમાં દાવેદારીને લઇને લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી જેનો હવે અંત આવ્યો છે.
કોણ છે રિવાબા જાડેજા?
રીવાબા ગુજરાતના રાજકોટના છે. તેના પિતા બિઝનેસમેન છે. મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ તેઓ લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. વર્ષ 2016માં તેમણે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા.
ભાજપમાં જોડાતા પહેલા રીવાબા રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના સભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. ત્યારથી તેઓ પાર્ટીના કાર્યક્રમોમાં સ્ટેજ પર જોવા મળે છે.