નક્સલીઓ પર અંકુશ લગાવવા માટે હાલ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર પોલીસ સાથે મળીને સંયુક્ત ઓપરેશન ચલાવી રહી છે. નક્સલીઓએ પણ પોતાની તાકાત વધારવા અને પોલીસ-સુરક્ષાદળોની દરેક રણનીતિને પહોંચી વળવા માટે નવા દળની રચના કરી છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, નક્સલીઓએ પ્લાટૂન-55ની ડિઝાઈન પ્રમાણે ‘કાન્હા-ભૌરમ દલમ’ ઉભું કર્યું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ‘કાન્હા-ભૌરમ દલમ’નાં સભ્યોને હાલ જંગલમાં વસેલા ગામોમાં ફિલ્ડ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
નક્સલીઓ પર અંકુશ લગાવવા માટે હાલ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર પોલીસ સાથે મળીને સંયુક્ત ઓપરેશન ચલાવી રહી છે. નક્સલીઓએ પણ પોતાની તાકાત વધારવા અને પોલીસ-સુરક્ષાદળોની દરેક રણનીતિને પહોંચી વળવા માટે નવા દળની રચના કરી છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, નક્સલીઓએ પ્લાટૂન-55ની ડિઝાઈન પ્રમાણે ‘કાન્હા-ભૌરમ દલમ’ ઉભું કર્યું છે. પ્લાટૂન-55માં સેન્ટ્રલ કમિટિએ સગીરવયના કિશોરો અને યુવાનોની ભરતી કરીને પોલીસને નવો પડકાર ફેંક્યો હતો.
‘કાન્હા-ભૌરમ દલમ’માં મહિલાઓની ભરતી કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે, ત્રણ રાજ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના સૌથી સક્રિય અને ખુંખાર નક્સલીઓ આ નવા જૂથની આગેવાની કરી રહ્યાં છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ‘કાન્હા-ભૌરમ દલમ’નાં સભ્યોને હાલ જંગલમાં વસેલા ગામોમાં ફિલ્ડ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. બે વર્ષ પહેલા તૈયાર કરવામાં આવેલા કૉરિડોર પર નક્સલીઓ તેમની અવરજવરના નવા રસ્તા બનાવી રહ્યાં છે. આ સાથે જ તેમણે પોતાની તાકાત વધારવા માટે સ્થાનિક ગામલોકો સાથેનો સંપર્ક વધારી દીધો છે.
તેમનું આ જડબેસલાક નેટવર્ક પોલીસનો કોઈ ખબરી તોડે નહીં એ માટે આ નવા કાન્હા ભૌરમ જૂથની મહિલા નક્સલીઓ લોકોમાં દહેશત ફેલાવી રહી છે. આ જૂથે જ તાજેતરમાં ભય ફેલાવવા માટે મંડલાના મોતીનાલામાં ગોદામ સળગાવી દીધું હતું અને ચૌરિયાનાં મુંડાગાંવમાં એક ભૂતપૂર્વ નક્સલીની હત્યા કરી હતી. નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સડક, સ્વાસ્થ્ય અને શિક્ષણ સાથે સાથે પોલીસ સામુદાયિક પોલિસિંગ હેઠળ લોકો સાથે સંવાદ સ્થાપિત કરવાની કોશિશ કરી રહી છે.
ગામનાં લોકો પોલીસની વાતમાં ન આવી જાય કે તેમના બાતમીદાર ન બની જાય તે માટે નક્સલીઓએ પ્લાટૂન-55ની રચના કરીને તેમાં આદીવાસી બાળકોની ભરતી કરવાનું અભિયાન ચલાવ્યું હતું. આ પ્લાટૂનની જ તર્જ ઉપર હવે ‘કાન્હા-ભૌરમ દલમ’ બનાવીને તેમાં મહિલાઓની ભરતી કરી છે અને તેમને તાલીમ આપી છે. બાલાઘાટ, મંડલા અને છત્તીસગઢમાં પોતાની તાકાત અને વર્ચસ્વ પરત મેળવવા ત્રણ સ્થળનાં બે પ્રમુખોનાં નામ પર નક્સલીઓએ આ નવું સંગઠન બનાવ્યું છે.
હકીકતમાં બાલાઘાટ અને મંડલામાં કાન્હા નેશનલ પાર્ક આવેલો છે અને છત્તીસગઢમાં ભૌરમદેવ અભયારણ્ય છે. આ કાન્હા નેશનલ પાર્ક અને અચાનકકમાર અભયારણ્યની વચ્ચે કૉરિડોર આવે છે. આ ત્રણેય ક્ષેત્રમાં દબદબો જાળવી રાખવા અને ગ્રામીણોને ડરાવવા સંગઠનને કાન્હા-ભૌરમનું નામ અપાયું છે.