પાલિકા ખુદ દેવાદાર હોય અને નાગરિકોને સહાય કરવાની યોજના અમલમાં મૂકે ત્યારે તેના પર નાગરિકો કેટલો ભરસો મૂકશે તે તો નાગરિકોને ખબર પરંતુ હાલ તો નવસારી નગર પાલિકા પણ નગરજનોને કંઈક આવા જ સપના દેખાડી રહી છે. નવસારી નગરપાલિકા હજુ સિંચાઈ વિભાગને ભૂતકાળના પાણીના બિલના રૂ. 30 કરોડ ચૂકવી શકી નથી. તેમ છતાં નગરમાં વોટરહારવેશસ્ટગ કરનારી સોસાયટીને રૂ.5હજારની પ્રોત્સાહક રકમ સહાય ચૂકવવા યોજના લાવી છે. ત્યારે દેવાદાર પાલિકા નગરજનોને ચૂકવવા આટલું ભંડોળ ક્યાંથી લાવશે તેવા સવાલ ઉઠાવવાની વિપક્ષને તક મળી છે. જોઈએ આ અહેવાલ.
નવસારી નગરપાલિકા નગરજનોની તરસ છીપવવા માટે હાલતો સિંચાઈ વિભાગની મંજૂરીથી ઊકાઈ ડેમમાંથી પાણી લઈ રહી છે અને આ પાણી શહેરના દૂધિયા તળાવમાં ઠાલવી રહી છે. જો કે આ માટે નવસારી નગરપાલિકાએ સિંચાઈ વિભાગને કરોડો રૂપિયા ચૂકવવા પડે છે. પરંતુ નજીકના ભૂતકાળ પર નજર નાખીયે તો નવસારી નગરપાલિકા સિંચાઈવિભાગને પાણીના બિલના નાણાં ચૂકવવામાં સદંતર નિષ્ફળ નિવડી છે.
વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જેના કારણે આજદિન સુધીમાં નવસારી નગર પાલિકા દ્વારા પાણીના બિલના રૂ.30 કરોડ સિંચાઈ વિભાગને ચૂકવવાના બાકી છે. હજુ આ પાણીના દેણાં બાકી છે. ત્યાં નવસારી નગર પાલિકા નગરમાં વોટર હાર્વેશસ્ટિંગની સ્કીમ લાવી છે. જે મુજબ શહેરમાં વોટર હાર્વેશસ્ટિંગ કરનાર ફળિયા, એપાર્ટમેન્ટ કે, સોસાયટીને રૂ. 5 હજારની પ્રોત્સાહક રકમ આપવાની વાત કરવામાં આવી છે. દેવાદાર પાલિકા જ્યારે સહાય આપવાની વાત કરે છે ત્યારે તેના પર વિપક્ષના સવાલ ઊઠી રહ્યા છે.
પરંતુ પાલિકાના તંત્રવાહકો અને સત્તાધીશોનું કહેવું છે કે વોટરહાર્વેશસ્ટિંગ માટે નગરજનોને સહાય ચૂકવવી એ તેમના માટે કોઈ અઘરી વાત નથી. કેમ કે, આ માટે વડોદરા લોકસભા મતવિસ્તારના સાંસદના ભંડોળમાંથી ચૂકવણી કરવામાં આવશે.
નગરજનો થશે નિરાશ..?
નવસારી પાલિકાના સત્તાધીશો ભલે સિંચાઈ વિભાગનું 30 કરોડનું બિલ ન ચૂકવી શક્યા હોય. પરંતુ તે નગરજનોને નિરાશ કરશે નહીં તેવું તેમનું કહેવું છે. પરંતુ નવસારી પાલિકના વિપક્ષીનેતાઓને આ વાત માત્ર આંબાઆંબલી દેખાડવા જેવી લાગી રહી છે. તો કોઈ તેને મુંગેરીલાલ કે હસીન સપને જેવી ગણાવી રહ્યા છે.
કેમ કે 22 વર્ષથી ચાલતી મધુરજળ યોજના હજુ સુધી પૂરી થઈ શકી નથી. હાલ ઉકાઈડેમની સપાટી નીચી ગઈ છે અને પાણીની તંગી ઉભી થઈ છે. ત્યારે સાંસદે વોટર હાર્વેશસ્ટિંગનું બિડું ઊઠાવ્યું છે અને નવસારી પાલિકાએ તેને યોજનાનું રૂપ આપી દીધું છે.પરંતુ નવસારી નગરપાલિકાના વિપક્ષી નેતાઓ આ યોજનાને માત્ર દેખાડો ગણાવી રહ્યા છે અને તે સફળ થશે કે કેમ તે અંગે શંકા સેવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જળસંગ્રહ માટે વોટરહાર્વેશસ્ટિંગ એ યોગ્ય અને પ્રશંસનીય પ્રયાસ છે. પરંતુ તે માત્ર દબાણવશ થઈને જ અમલમાં મૂકવાનો હોય અને ચોમાસા બાદ તે ભૂલી જવાનો હોય તો તેનો કોઈ અર્થ સરશે નહીં. બાકી આ મામલાને જૂના વિવાદ સાથે જોડવાનો વિપક્ષનો પ્રયાસ વિકાસ કાર્યમાં રોડાં જ સાબિત થશે. જો કે તે પહેલા વિપક્ષે પણ વોટરહાર્વેશસ્ટિંગમાં વધુ ને વધુ સહકાર આપીને નગરને પાણીની તંગીથી મુક્તિ અપાવવા આગળ આવવું પડશે.