નવસારી જિલ્લાના નારણપોર ગામે પિતાએ જ નિંદ્રાધીન પુત્રને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા અરેરાટી મચી ગઈ છે.
નવસારીના નારણપોરની ઘટના
પિતાએ પુત્રની કરી કરપીણ હત્યા
કુહાડીના ઘા મારી પુત્રની હત્યા કરતાં હાહાકાર
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના નારણપોર ગામે હચમચાવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પિતાએ જ પુત્રને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. નારણપોર ગામે ઝઘડિયા ફળિયામાં રહેતા આરોપી પિતાએ પુત્ર ભરનિંદરમાં સૂતો હતો આ વેળાએ કુહાડીના આડેધડ ઘા ઝીંકીને પુત્રને પરલોક પહોંચાડી દીધો હતો.આ મામલે પોલીસે દોડી જઈ આરોપી પિતાને દબોચી લીધો હતો. પોલીસે આરોપી પિતા ભગુની ધરપકડ કરીને કાર્યવાહી આગળ ધપાવી છે.
પુત્ર રૂપિયા માંગતો હોવાથી પતાવી દીધાનું પ્રાથમિક તારણ
સમગ્ર પંથકમાં ચકચાર મચાવતી આ ઘટના અંગે જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર ખેરગામ તાલુકાના નારણપોર ગામે રહેતા ભગુ પટેલ લાકડા તોડવાની મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને પુત્ર ગણેશ કાઇ કામ ધંધો કરતો ન હતો. જેને લઈ રૂપિયાની ખેંચ પડતી હોવાથી અવારનવાર પોતાના પિતા પાસેથી રૂપિયાની માંગણી કરતો હતો. આ બાબતને લીધે બને પિતા-પુત્ર વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા હતા. જેને લઈને કંટાળી ગયેલા પિતા ભગુ પટેલએ ઉગ્ર બનીને નિંદ્રાધીન ગણેશ પર કુહાડી ચલાવી હતી.
પોલીસે આરોપી પિતાની કરી અટકાયત
આરોપી પિતાએ પુત્રના માથા પર ખુન્નસથી ચલાવેલી કુહાળીના ઘાને લઈને પુત્રના માથાના બે ભાગ થયા હતા. મધરાતે ખેલાયેલ આ ખૂની ખેલ અંગેના વાવડ વહેતા થતાં સમગ્ર પંથકમા હાહાકાર મચી જવા પામ્યો છે. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. જ્યાં આરોપી પીતા ભગુ પટેલને દબોચી લઈને મૃતદેહને પીએમ અર્થે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.