કોરોનાના લીધે સતત 2 વર્ષથી બંધ રહેલ નવરાત્રીના તહેવારની આ વર્ષે સરકાર દ્વારા રાજ્યમાં 8 જિલ્લાના 11 સ્થળોએ ભવ્ય ઉજવણી કરાશે.
સરકાર દ્વારા આ વર્ષે 11 સ્થળોએ કરાશે નવરાત્રીની ઉજવણી
રાજ્યમાં 8 જિલ્લાના 11 સ્થળો પર કરાશે નવરાત્રીની ઉજવણી
પાવાગઢ, અંબાજી સહિતના મંદિરોમાં પણ કરાશે ઉજવણી
સૌ કોઇ ગુજરાતીઓનો લોકપ્રિય તહેવાર એટલે નવરાત્રી (Navaratri 2022). ત્યારે નવરાત્રીને લઇને ગુજરાત સરકારે તાજેતરમાં જ મહત્વનો નિર્ણય લીધો હતો. જેમાં રાજ્ય સરકારે આ વર્ષે નવ શક્તિપીઠો પર ગરબાનું આયોજન કરાશે તેવો નિર્ણય કર્યો હતો. ત્યારે તમને જણાવી દઇએ કે, આ વર્ષે રાજ્યમાં સરકાર દ્વારા 11 સ્થળોએ નવરાત્રીની ઉજવણી કરાશે.
અનુરાધા પોંડવાલ અને કિર્તીદાન ગઢવી સહિતના કલાકારો રહેશે ઉપસ્થિત
રાજ્યમાં યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ વર્ષે 11 સ્થળોએ નવરાત્રીની ઉજવણી કરાશે. ત્યારે એકવાર ફરી નવરાત્રીની આતુરતાપૂર્વક રાહ જોઇ રહેલા ખેલૈયાઓ ઝૂમવા તૈયાર થઇ જજો. રાજ્યમાં આ વર્ષે 8 જિલ્લાના 11 સ્થળોઓ ઉજવણી કરાશે. જેમાં અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, મહેસાણા અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં નવરાત્રીની ઉજવણી કરાશે.
તદુપરાંત મંદિરોની વાત કરીએ તો ભદ્રકાળી મંદીર, અંબાજી મંદિર, આશાપુરા મંદીર અને પાવાગઢ સહિતના મંદિરોમાં આ વર્ષે નવરાત્રીની ભવ્ય ઉજવણી થશે. રાજ્ય સરકાર દ્વારા જે ઉજવણી કરવામાં આવશે તેમાં અનુરાધા પોંડવાલ, ઓસ્માન મીર અને કિર્તીદાન ગઢવી સહિતના કલાકારો ઉપસ્થિત રહેશે.
26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીની નવરાત્રીની ઉજવણી
નોંધનીય છે કે, નવરાત્રીનો તહેવાર એ માતાજી દુર્ગામાને સમર્પિત છે. જેમાં માતાજીના 9 સ્વરૂપોની 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે અને દસમા દિવસે દશેરા ઉજવવામાં આવે છે. ત્યારે તમને જણાવી દઇએ કે, આ વખતે નવરાત્રીનો મહાપર્વ આગામી 26 સપ્ટેમ્બરના રોજ સોમવારથી શરૂ કરાશે અને 5 ઓક્ટોબરના રોજ બુધવાર સુધી ઉજવાશે.
આ વર્ષે નવરાત્રીમાં લાગી શકે છે વરસાદનું ગ્રહણ
જોકે બીજી બાજુ આ વર્ષે નવરાત્રીની આતુરતાપૂર્વક રાહ જોઇ રહેલા ખેલૈયાઓ માટે માઠા સમાચાર પણ છે. એટલે કે આ વખતે નવરાત્રીના ઉત્સાહમાં વરસાદ વિલન બની શકે છે.
હવામાન વિભાગે 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તમને જણાવી દઇએ કે, આ વર્ષે તારીખ 26 સપ્ટેમ્બર (આસો સુદ એકમના રોજ સોમવાર)થી નવરાત્રીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. જેને લઇને ગરબા રસિકોમાં એક પ્રકારનો થનગનાટ જોવા મળી રહ્યો છે. ઘણા મહિના પહેલાથી જ ગરબા રસિકોએ ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઇને કરેલી આગાહી મુજબ શક્ય છે કે કદાચ મેઘરાજા આ વર્ષે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડે તો નવાઇ નહીં.
જાણો નવરાત્રીનું શું છે મહત્વ
આસો માસના શુક્લ પક્ષની પહેલી તિથિથી મનાવાતો નવરાત્રીનો તહેવાર સનાતન યુગથી જ મનાવવામાં આવી રહ્યો છે. એવી માન્યતા છે કે સૌથી પહેલા ભગવાન રામે નવરાત્રીની શરૂઆત કરી હતી. સમુદ્ર કિનારે શક્તિની ઉપાસના કર્યા બાદ જ ભગવાન રામે લંકા પર આક્રમણ કર્યું હતું. બાદમાં તેમણે રાવણનો વધ કરી જીત પણ મેળવી. એટલા માટે નવરાત્રીના નવ દિવસ સુધી માં અંબેની પૂજા કર્યા બાદ દસમા દિવસે દશેરાનો પર્વ મનાવવામાં આવે છે. આને અધર્મ પર ધર્મનો અને અસત્ય પર સત્યના વિજય તરીકે પણ મનાવવામાં આવે છે.