આજે સોમવારથી નવરાત્રીનો પ્રારંભ થયો છે. માતાજીની આરાધના કરવા ભાવિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
માતાજીની ભક્તિ, શક્તિ અને આરાધનાના પર્વનો પ્રારંભ
શેરી ગરબાઓ-પાર્ટી પ્લોટમાં જોવા મળશે ખેલૈયાઓનો થનગનાટ
માતાજીના દર્શન કરવા માટે મંદિરોમાં ભીડ જામી
ગુજરાતની આગવી સંસ્કૃતિ, આગવી ઓળખ સમા નવરાત્રી પર્વનો આજથી પ્રારંભ થયો છે, નવરાત્રીના પર્વને લઈને ગરબાપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રી દરમિયાન પાર્ટી પ્લોટના આયોજનની છૂટ હોવાથી ખેલૈયાઓ મન મૂકીને રાસની રમઝટ બોલાવશે. કોરોના મહામારી બાદ આ વર્ષે પહેલી વાર તમામ નિયંત્રણ હટાવ્યા બાદ પહેલી નવરાત્રી યોજાઈ રહી છે. જેના કારણે ગરબા રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આમ તો કોરોનાને પગલે ગત વર્ષે શેરી ગરબાની છૂટ મળતા ગરબાપ્રેમીઓએ શેરી ગરબા રમીને આનંદ માણ્યો હતો.
માતાજીની આરાધના કરવા ભાવિકોમાં ઉત્સાહ જોવા
આજે સોમવારથી નવરાત્રીનો પ્રારંભ થયો છે. માતાજીની આરાધના કરવા ભાવિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો વહેલી સવારથી માતાજીના દર્શન કરવા માટે મંદિરોમાં ભીડ જામી છે. ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મંદિરોમાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. રાત પડતાં જ શેરી, ગલી, ચોક, પ્લોટ, મંદિરોના મેદાનો ગરબા, આરતીની ગુંજથી ગુંજી ઉઠશે. બે વર્ષ પછી ખેલૈયાઓ મન મૂકીને નવરાત્રીની મજા માણી શકશે.
GMDC ગ્રાઉન્ડમાં વાઈબ્રન્ટ નવરાત્રીનું આયોજન
બે વર્ષ બાદ આ વખતે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ વાઈબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વાઈબ્રન્ટ નવરાત્રીને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાત ટુરીઝમ દ્વારા પહેલા દિવસે આદ્યશકિત આરાધના થીમ પર ગરબાનું આયોજન કરાયું છે. બે વર્ષ બાદ નવરાત્રી યોજતા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આ વખતે કોઈ કચાસ નહિ છોડવામાં આવે. GMDC ગ્રાઉન્ડમાં યોજાનાર વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવને આજે સાંજે 7 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે.
આયોજકોને કેટલાક નિયમોનું પાલન કરવાની સ્પષ્ટ સૂચના અપાઈ
આ વખતે અમદાવાદ સહિત રાજ્યભરમાં મોટા પાયે રાસ - ગરબાનું આયોજન કરાયું છે. અમદાવાદની વાત કરીએ તો એસજી હાઈવે, એસપી રિંગ રોડ, સિંધુ ભવન રોડ તેમજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મોટાપાયે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીને ધ્યાનમાં રાખીને પોલીસે તમામ આયોજકોને કેટલાક નિયમોનું પાલન કરવાની સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે.
રાજકોટમાં મહિલા પોલીસ ખાનગી ડ્રેસમાં તૈનાત રહેશે
રાજકોટમાં પણ ઠેર-ઠેર નવરાત્રીનું આયોજન કરાયું છે. નવરાત્રીના નવ દિવસ સુધી સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહિલા પોલીસ ખાનગી ડ્રેસમાં તૈનાત રહેશે. તો ખેલૈયાઓ માટે પાર્ટી પ્લોટમાં આઈકાર્ડ ફરજિયાત કરાયું છે. આ સાથે આયોજકોને સીસીટીવી કેમેરા અને સુરક્ષા ગાર્ડ તૈનાત કરવાની સૂચના આપી દેવામાં આવી છે. સાથે જ પાર્કિંગની વ્યવસ્થા કરવાની કડક સૂચનાઓ આપવામાં આવી છે.
જુદા-જુદા ટેટૂ કરાવવાનો ક્રેઝ વધ્યો
નવરાત્રીમાં પુરુષો અને મહિલા દરેક ગરબા રમવા માટે અવનવીન રીતે તૈયાર થતાં હોય છે. ત્યારે આ વખતે ગરબારસિકોમાં નવરાત્રીને લગતા જુદા-જુદા ટેટૂ કરાવવાનો ક્રેઝ વધ્યો છે. ટેટૂમાં મુખ્યત્વે માં અંબાના ફોટા વાળા ટેટૂ, પોતાના નામ વાળા ટેટૂ, ગરબા રમતા ટેટૂ તથા અવનવીન પ્રકારની ડિઝાઈનવાળા ટેટૂ કરાવી રહ્યા છે.
5 ઓક્ટોબર સુધી ઉજવાશે નવરાત્રી
મહત્વનું છે કે, નવરાત્રી તહેવાર દેવી દુર્ગામાને સમર્પિત છે. જેમાં માતા દુર્ગાના 9 સ્વરૂપોની 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે અને દસમા દિવસે દશેરા ઉજવવામાં આવે છે. ત્યારે તમને જણાવી દઇએ કે, આ વખતે નવરાત્રીનો મહાપર્વ આજથી 5 ઓક્ટોબર સુધી ઉજવાશે.