નવરાત્રિના નવ દિવસમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. અલગ-અલગ દિવસે પૂજા કરવાથી માતા રાની અલગ-અલગ વરદાન આપે છે.
નવરાત્રિના નવ દિવસમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની કરાય છે પૂજા
અલગ-અલગ દિવસે પૂજા કરવાથી માતા રાની આપે છે વરદાન
જાણો, કઈ દેવીની પૂજા કરવાથી કયુ વરદાન પ્રાપ્ત થાય છે
અલગ-અલગ દિવસે અલગ દેવીઓની પૂજા કરવાથી મનોકામના થશે પૂર્ણ
26 સપ્ટેમ્બર 2022થી શારદીય નવરાત્રિની શરૂઆત થશે. જેની પૂર્ણાહૂતિ 5 ઓક્ટોબરે થશે. હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રિનુ વિશેષ મહત્વ છે. નવરાત્રિનુ પર્વ દેવી શક્તિ માં દુર્ગાને સમર્પિત હોય છે. નવરાત્રિમાં માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે શારદીય નવરાત્રિનુ વ્રત રાખીને અને વિધિપૂર્વક માં દુર્ગાની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. દેવી માં આશીર્વાદ પ્રદાન કરે છે. નવરાત્રિના અલગ-અલગ 9 દિવસમાં અલગ દેવીઓની પૂજા કરવાથી અલગ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી દરરોજ દેવીઓની પૂજાનુ વિધાન છે. આવો જાણીએ કઈ દેવીની પૂજા કરવાથી કયુ વરદાન પ્રાપ્ત થાય છે.
માં શૈલપુત્રીની પૂજા
દેવીના નવ સ્વરૂપમાંથી માં શૈલપુત્રીની પૂજા પહેલા દિવસે કરવામાં આવે છે. જેની પૂજા કરવાથી ચંદ્ર સંબંધિત બધા દોષ દૂર થાય છે.
બ્રહ્મચારિણીની પૂજા
બ્રહ્મચારિણીની પૂજા નોરતાના બીજા નોરતે એટલેકે બીજા દિવસે કરવામાં આવે છે. જેનાથી કુંડળીમાં મંગળ ગ્રહ સંબંધિત બધા દોષમાંથી મુક્તિ મળે છે.
માં ચંદ્રઘંટાની પૂજા
માં ચંદ્રઘંટાની પૂજા નવરાત્રિના ત્રીજા દિવસે કરવામાં આવે છે. જેનાથી શુક્ર ગ્રહ બળવાન થાય છે અને તેની સાથે જોડાયેલા બધા દોષ દૂર થાય છે.
માં કુષ્માણ્ડાની પૂજા
માં કુષ્માણ્ડાની પૂજા કરવાથી સૂર્યના બધા દોષમાંથી મુક્તિ મળે છે.
માં સ્કંદમાતાની પૂજા
માં સ્કંદમાતાની પૂજા નવરાત્રિના પાંચમા નોરતે કરવામાં આવે છે. જેનાથી કુંડળીમાં બુધ ગ્રહ સંબંધિત દોષમાંથી મુક્તિ મળી જાય છે.
માં કાત્યાયની પૂજા
માં કાત્યાયનીની પૂજા કરવાથી ગુરૂ મજબૂત સ્થિતિમાં હોય છે અને ગુરૂ દોષ દૂર થાય છે.
માં કાલરાત્રિની પૂજા
નવરાત્રિના સાતમા દિવસે માં કાલરાત્રિની આરાધના કરવામાં આવે છે. જેની પૂજાથી શનિ સંબંધિત બધા દોષ દૂર થાય છે.
માં મહાગૌરીની પૂજા
માં મહાગૌરીની પૂજા મહાષ્ટમી તિથિએ કરવામાં આવે છે. જેની પૂજાથી રાહુ સંબંધિત દોષનો વિનાશ થાય છે. જેની પૂજાથી ભક્તોને અભય, રૂપ અને સૌદર્યનુ વરદાન મળે છે. જીવનને સુખ-સમૃદ્ધી અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે.
માં સિદ્ધીદાત્રીની પૂજા
માં સિદ્ધીદાત્રીની પૂજા નવમા નોરતે કરવામાં આવે છે. જેનાથી કેતુ સંબંધિત દરેક દોષમાંથી મુક્તિ મળે છે. માં સિદ્ધીદાત્રીની અર્ચના અને પૂજાથી ભક્તોના બધા કાર્ય સિદ્ધ થાય છે. કષ્ટ અને દુ:ખ મટી જાય છે અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે.