આજથી માતાજીના શુભ પર્વ એવા નવલી નવરાત્રિનો પ્રારંભ થયો છે. નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીનું વિધિવત રીતે પૂજન કરવામાં આવે છે. પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રીના રૂપે અવતરતા માં દુર્ગાનું નામ શૈલપુત્રી પડ્યુ.
નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીનું કરો પૂજન
માતાની આરાધના કરવાથી બળશે જન્મોજન્મના પાપ
માં શૈલપુત્રીનું પૂજન કરવાથી તમારા જીવનમાં આવશે સ્થિરતા
માતાના જમણા હાથમાં ત્રિશુળ
માતા શૈલપુત્રીની સવારી નંદી નામના વૃષભ પર છે. માતાના જમણા હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ છે. માતા શૈલપુત્રીના પૂજન કરવાથી જીવનમાં સ્થિરતા અને દ્રઢતા આવે છે. ખાસ કરીને મહિલાઓને માતા શૈલપુત્રીનું પૂજન કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. મહિલાઓની પારિવારિક સ્થિતિ, દામ્પત્ય જીવન, દુ:ખ, ઝગડા અને બિમારીઓ માતા શૈલપુત્રીની અસીમ કૃપાથી દૂર થાય છે.
માતા શૈલપુત્રીની પૂજા કેવીરીતે કરવી
દેવી શૈલપુત્રી અને તેના ચિત્રને લાકડાના બાઝોટ પર લાલ અથવા સફેદ વસ્ત્ર પાથરીને માતાજીની સ્થાપના કરો. માતા શૈલપુત્રીને સફેદ ધાતુ ખૂબ જ પસંદ છે. તેથી માતા શૈલપુત્રીને સફેદ વસ્ત્ર અને સફેદ ફૂલ અર્પણ કરો અને સફેદ બરફીનો પ્રસાદ અર્પણ કરો. કપૂરી પાન પર સોપારી ધારણ કરી 27 લવિંગ મૂકો. માતા શૈલપુત્રીની સામે ઘીનો દીવો પ્રગટાવો અને ઉત્તર દિશામાં બેસી એક સફેદ આસન પર બેસો. ઓમ શૈલપુત્રયે નમ: મંત્રનો 108 વખત જાપ કરો. આ જાપ બાદ બધા લવિંગને ભેગા કરી એક માળા બનાવો. પોતાના મનની ઈચ્છા અનુસાર આ લવિંગની માળા માતા શૈલપુત્રીના બંને હાથે પહેરાવો. આમ કરવાથી તમને દરેક કાર્યમાં સફળતા મળશે અને પારિવારિક ઝઘડા હંમેશા માટે શાંત થઇ જશે.
માં શૈલપુત્રીની પૂજાનું મહત્વ
જીવનના દરેક દુ:ખ, પારિવારિક ઝઘડા અને નકારાત્મક શક્તિઓના નાશ માટે કપૂરી પાન પર રાખેલ લવિંગ, સોપારી બંને ભેગુ કરીને માતાને અર્પણ કરો. માં શૈલપુત્રીની આરાધના કરવાથી મનવાંચ્છિત ફળ પ્રાપ્ત થાય છે અને કન્યાઓને ઉત્તમ વર મળે છે. નવરાત્રિના પ્રથમ દિવસે ઉપાસના દરમ્યાન દેવીનો ઉપાસક પોતાના મનને મૂળાધાર ચક્રમાં સ્થિર કરે છે. શૈલપુત્રીનું પૂજન કરવાથી મૂળાધાર ચક્ર જાગૃત થાય છે અને અનેક સિદ્ધીઓ પ્રાપ્ત થાય છે. માં શૈલપુત્રીની પૂજા કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને બિમારીઓમાંથી મુક્તિ મળે છે.