અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણાને રવિવારે લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ છે. ત્યારે હોસ્પિટલમાંથી બહાર નીકળતી વખતે નવનીત રાણાના હાથમાં હનુમાન ચાલીસા જોવા મળી હતી. જો કે, હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ મીડિયા સાથે વાત કરતા નવનીત રાણાએ કહ્યું કે, હું હનુમાન ચાલીસા વાંચવા માટે 14 દિવસ અથવા તો 14 વર્ષ જેલમાં રહેવા તૈયાર છું. તેણીએ કહ્યું કે, 'હું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રમાં ગમે ત્યાંથી ચૂંટણી લડવાનો પડકાર ફેંકું છું અને હું તેમની સામે ઊભી રહીશ.'
નવનીત રાણાએ વધુમાં જણાવ્યું કે, આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં હું પૂરી તાકાત સાથે જનતા વચ્ચે જઈશ. આવનારા સમયમાં મહારાષ્ટ્રની જનતા ઉદ્ધવ ઠાકરેને કહેશે કે હનુમાન અને રામનું નામ લેનારાઓને હેરાન કરવાના શું પરિણામો આવે છે. નવનીત રાણાએ કહ્યું હતું કે, હું કોર્ટના આદેશનું સન્માન કરીશ પરંતુ સરકાર દ્વારા મારી પર થયેલા અત્યાચાર સામે હું અવાજ ઉઠાવીશ.
અમે લડવા મક્કમ છીએઃ નવનીત રાણા
હોસ્પિટલમાંથી રજા આપતા પહેલાં સાંસદ નવનીત રાણાએ રવિવારે કહ્યું કે, અમે લડવા માટે મક્કમ છીએ. મુખ્યમંત્રી અમારા પર દબાણ કરીને કાર્યવાહી કરી રહ્યાં છે. મુખ્યમંત્રી કોઈને મળતા નથી, રાજ્યની મુલાકાત લેતા નથી, જિલ્લા મંત્રાલયમાં આવતા નથી. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી છે કે નહીં તે ક્યારેય જાણી શકાયું નથી. અમે એક-બે દિવસમાં સમસ્યાની જાણ દિલ્હીને કરીશું.
નવનીત રાણા 13માં દિવસે જેલમાંથી મુક્ત થઇ હતી
તમને જણાવી દઈએ કે, 6 મેના રોજ સાંસદ નવનીત રાણા 13માં દિવસે 5 મેના રોજ જેલમાંથી મુક્ત થઇ હતી. જેલમાંથી છૂટ્યા બાદ નવનીત રાણા મેડિકલ ચેકઅપ માટે લીલાવતી હોસ્પિટલ પહોંચી હતી. અહીં ચેકઅપ બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. રાણાના વકીલ રિઝવાન મર્ચન્ટે ફરિયાદ કરી હતી કે તેમના અસીલને જેલમાં યોગ્ય સારવાર નથી મળી રહી. રિઝવાન મર્ચન્ટે બાઇકુલા જેલના સુપરિટેન્ડન્ટને પત્ર લખીને જણાવ્યું હતું કે, નવનીત રાણા સ્પોંડિલોસિસ (Spondylosis) થી પીડિત છે, તેમને સીટી સ્કેનની સુવિધા આપવામાં આવી નથી રહી.
કેમ કરાઇ હતી રાણા દંપતિની ધરપકડ?
જણાવી દઇએ કે, અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેના ધારાસભ્ય પતિ રવિ રાણાને જામીન મળ્યા બાદ 5 મેના રોજ જેલમાંથી મુક્ત કરી દેવાયા હતાં. બંનેને 23 એપ્રિલના રોજ મુંબઇ પોલીસે ધરપકડ કરી લીધી હતી. રાણા દંપતિએ કહ્યું હતું કે, તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ખાનગી નિવાસસ્થાન માતોશ્રીની સામે હનુમાન ચાલીસાનો પાઠ કરશે.