પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી સિદ્ધૂનું રાજીનામું કોંગ્રેસ હાઈકમાન્ડ મંજૂર ન કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
પંજાબમાં કોકડું ગુચવાતા હાઈકમાન્ડ એક્શનમાં
સિદ્ધુનું રાજીનામું ન સ્વીકાર્યું હાઈકમાન્ડે
રાજ્યના નેતાઓને તાબડતોબ આપ્યો આદેશ
તમારી મેળે મામલાનો ઉકેલ લાવો
કોંગ્રેસના સૂત્રોના જણાવ્યાનુસાર હાઈકમાન્ડે રાજ્ય લીડરશીપને આદેશ આપ્યો છે કે આ મામલો તેમની રીતે ઉકેલી દેવામાં આવે. હાઈકમાન્ડ રાજ્યના ટોચના નેતાઓને આ મુદ્દે હસ્તક્ષેપ કરવાનો આદેશ આપી દીધો છે.
કોંગ્રેસે ડેમેજ કન્ટ્રોલની કવાયત આદરી
હાઈકમાન્ડનો આદેશ મળ્યા બાદ પ્રદેશ કોંગ્રેસ યુનિટે ડેમેજ કન્ટ્રોલ કરવાની કવાયત આદરી હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. આગામી દિવસોમાં સીએમ ચન્ની સિદ્ધૂને મળે તેવી પણ સંભાવના જોવાઈ રહી છે.
પંજાબ કોંગ્રેસમાં ફરી વાર મોટી ઉથલપાથલ મચી
પંજાબ કોંગ્રેસમાં ફરી વાર મોટી ઉથલપાથલ મચી છે. પ્રદેશાધ્યક્ષ પદેથી સિદ્ધુના રાજીનામા બાદ તેમના સમર્થનમાં કેબિનેટ મંત્રી રઝિયા સુલ્તાના અને ધારાસભ્ય પરગટ સિંહે પણ તત્કાળ રાજીનામું આપી દેતા સંકટ ઘેરુ બન્યું છે.
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. હવે સમાચાર આવી રહ્યા છે કે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના મંત્રીમંડળમાં મંત્રી રઝિયા સુલ્તાનાએ પણ મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. MLA પરગટ સિંહનું પણ રાજીનામું આપ્યું હોવાની ખબર વહેતી થઈ હતી જોકે ખુદ પરગટ સિંહે સામે આવીને તેમના રાજીનામાની ખબરને ખોટી ગણાવી હતી. રઝિયા સુલ્તાનાને નવજોત સિંહ સિદ્ધુની નજીક માનવામાં આવે છે. રઝિયા સુલ્તાનાના રાજીનામાથી સ્પષ્ટ છે કે પંજાબમાં ચાલી રહેલું રાજકીય તોફાન જલ્દી અટકવાનું નથી.
શું લખ્યું છે રાજીનામામાં
મંગળવારે સોનિયા ગાંધીને મોકલેલા રાજીનામામાં સિદ્ધુએ લખ્યું કે કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં નીચે પડવાની શરૂઆત સમાધાનથી થાય છે. હું પંજાબના ભવિષ્ય માટે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરી શકું. આ માટે પંજાબ પ્રદેશ અધ્યક્ષપદેથી તાત્કાલિક રાજીનામું આપું છું.
રાજીનામાના 4 કારણો
(1) કેબિનેટમાં જે રીતે વિભાગોની ફાળવણી કરાઈ તેનાથી સિદ્ધૂ નાખુશ હતા.
(2) નવી કેબિનેટમાં સુખવિંદર સિંહ રંધાવાને ગૃહમંત્રી બનાવાયા, સિદ્ધુ અને તેમના સાથીઓને આ વાત ખટકતી હતી.
(3) અમૃતસર સુધાર ટ્રસ્ટનો લેટર ચરણજીત સિંહ ચન્ની દ્વારા આપવામાં આવ્યો જ્યારે સિદ્ધૂ ખુદ આ લેટર સોંપવા માગતા હતા.
(4) કેટલાક અધિકારીઓની બદલીથી સિદ્ધૂ ખુશ નહોતા.
એડવોકેટ જનરલની નિયુક્તીના મુદ્દે પણ ચન્ની અને સિદ્ધુ વચ્ચે ચડભડ ચાલી રહી હતી. સિદ્ધુ સુપ્રીમના પૂર્વ જજ કુલદીપ સિંહના પુત્ર ડીએસ પટવાલિયાને એડવોકેટ જનરલ બનાવવા માગતા હતા. આ નિયુક્તી ફાઈનલ પણ થઈ ગઈ હતી પરંતુ અચાનક વચ્ચે કાઉન્સિલના પૂર્વ અધ્યક્ષ અણમોલ રતન સિદ્ધુનું નામ ચાલવા લાગ્યું. તે ઉપરાંત ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ કોને બનાવવા તે અંગે પણ તેમની વચ્ચે કમેળ સર્જાયો હતો.