નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ પોતાની પાકિસ્તાન યાત્રા પર મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ જ પાકિસ્તાન મોકલ્યો હતો. તેમણે કહ્યું 'મારા કેપ્ટન રાહુલ ગાંધી છે તેમણે જ મોકલ્યો દરેક જગ્યા પર.'
સિદ્ધુએ કહ્યું કે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે મને પાકિસ્તાન જવાની ના પાડી હતી. પરંતુ અંદાજિત 20 કોંગ્રેસી નેતાઓ અને કેન્દ્રીય નેતૃત્વના કહેવા પર હું પાકિસ્તાન ગયો હતો. પંજાબના સીએમ મારા પિતા સમાન છે. મે તેમને પહેલા જ કહ્યું હતું કે હું પાકિસ્તાન જઇશ. મારા કેપ્ટન રાહુલ ગાંધી છે અને સીએમ સાહેબના કેપ્ટન પણ રાહુલ ગાંધી છે.
હૈદરાબાદમાં કોંગ્રેસના પ્રચાર કરવા પહોંચેલ સિદ્ધુએ કહ્યું કે જ્યારે હું પાકિસ્તાન ગયો હતો અને ત્યાંથી પરત ફરતા સમયે કરતારપુર કૉરિડોરની વાત કરી હતી ત્યારે લોકોએ મારી મજાક બનાવી હતી. હવે તે જ લોકો પોતાના નિવેદનથી યૂટર્ન લઇ રહ્યા છે.