આપને જણાવી દઇએ કે, નવજોતસિંહ સિદ્ધુએ ટ્વિટ કરી રાજીનામાની જાણ કરી હતી. તેમણે 10 જૂનના રોજ કોંગ્રેસના અગ્રણી નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને પોતાના રાજીનામાં અંગેની જાણ કરી હતી. તેમણે આજે પોતાના રાજીનામાનો પત્ર ટ્વીટ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પંજાબમાં મુખ્યમંત્રી અમરિંદર તથા નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે ચાલતી ખટપટ છેલ્લા ઘણા સમયગાળાથી ચર્ચામાં હતા. લોકસભા ચૂંટણીમાં પંજાબમાં કોંગ્રેસને વધુ બેઠક નહીં મળવાનું ઠીકરું મુખ્યમંત્રી અમરિંદર સિંહે નવજોત સિંહ સિદ્ધુ પર ફોડ્યું હતું.
આ સાથે પંજાબના મુખ્યમંત્રીએ હાઇકમાન્ડ પાસે આ મામલે કાર્યવાહી કરવાની વાતચીત પણ કરી હતી. એટલું જ નહીં મુખ્યમંત્રીએ લોકસભા ચૂંટણી બાદ 6 જૂનના રોજ થયેલી કેબિનેટ પહેલા જ સિદ્ધુ સહિત કેટલાય મંત્રીઓના વિભાગ બદલી દીધા હતા.
સિદ્ધુ પાસે પહેલા સ્થાનીય સ્વશાસન વિભાગ હતો પરંતુ ત્યારબાદ તેમની જવાબદારી ઊર્જા વિભાગ અને નવીનીકરણીય ઊર્જા વિભાગની હતી. જે પદ પરથી રવિવારના રોજ સિદ્ધુએ રાજીનામું ધરી દીધું હતું.
નવજોત સિંહ સિદ્ધુના રાજીનામાની ચાલી રહી હતી માંગ
પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુના રાજીનામાની માંગ તેજ થઇ છે. તેમના કેબિનેટ મંત્રીઓએ માંગ કરી છે મુખ્યમંત્રી અમરિન્દર સિંહના નેતૃત્વ પર સવાલ ઉઠાવનાર સિદ્ધુએ રાજીનામું આપી દેવું જોઇએ. આમ ચૂંટણી ના 23 મેના પરિણામ પહેલા પંજાબ કોંગ્રેસ અને સરકારમાં અંદરુની ખેંચતાણ ચરમસીમાએ પહોંચી ગયો છે.
આપને જણાવીએ કે કોંગ્રેસના સ્ટાર કેમ્પેનર સિદ્ધુએ અમરિન્દર પર અકાલી દળના બાદલ પરિવાર સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યા હતો. સિદ્ધુની પત્નીએ પણ આરોપ લગાવ્યો હતો કે અમરિન્દરને કારણે તેમની ટિકિટ કાપવામાં આવી. જેના પર સિદ્ઘુએ કહ્યું હતું કે તેમની પત્ની ખોટું નથી બોલી રહી.