પંજાબ વિધાનસભા ચૂંટણીમાં શરમજનક હાર બાદ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામું આપી દીધું છે. કારણ કે, 5 રાજ્યોમાં મળેલી હાર બાદ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોના રાજીનામાની માંગ કરી હતી.
નવજોત સિંહ સિદ્ધુએ ટ્વિટ કરીને રાજીનામા અંગેની જાણકારી આપી છે. નવજોત સિદ્ધુએ કહ્યું કે, 'કોંગ્રેસ અધ્યક્ષની ઈચ્છા અનુસાર હું પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપું છું.'
ચૂંટણીઓમાં સૌથી મોટું નુકસાન કોઈ પાર્ટીને થયું હોય તો તે છે કોંગ્રેસ
ઉલ્લેખનીય છે કે, દેશમાં હાલમાં જ ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓના સમાપ્ત થઈ છે. આ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ ચાર રાજ્યોમાં ભવ્ય જીત મેળવી જ્યારે એક રાજ્યમાં કોંગ્રેસની સરકારને ઉખાડીને આમ આદમી પાર્ટીને પ્રચંડ બહુમતી મળી ગઈ છે. ચૂંટણીઓમાં સૌથી મોટું નુકસાન કોઈ પાર્ટીને થયું હોય તો તે છે કોંગ્રેસ.
સોનિયા ગાંધીએ માંગ્યા હતા રાજીનામાં
ત્યારે કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ સોનિયા ગાંધીએ પાંચ રાજ્યોના પ્રદેશ પ્રમુખોને રાજીનામાં આપી દેવાના આદેશ આપ્યા હતાં. આ સાથે જ આ રાજ્યોમાં નવું કોંગ્રેસ સંગઠન માળખું પણ બનાવવા માટે કહેવામાં આવ્યું હતું.. નોંધનીય છે કે આ આદેશ બાદ ઉત્તર પ્રદેશના અજય કુમાર લલ્લુ અને પંજાબના સિદ્ધુનું રાજીનામું આપવાના હતાં. ત્યારે નવજોત સિદ્ધુએ તાજેતરમાં જ ટ્વિટ કરીને રાજીનામું આપ્યાની જાણકારી આપી છે. અજય કુમાર યુપી જ્યારે નવજોત સિંહ સિદ્ધુ પંજાબના કોંગ્રેસ અધ્યક્ષ છે.
Punjab Congress chief Navjot Singh Sidhu tenders his resignation from the post.
Congress President Sonia Gandhi had asked the PCC Presidents of Uttar Pradesh, Uttarakhand, Punjab, Goa & Manipur to put in their resignations in order to facilitate reorganisation of PCCs. pic.twitter.com/3CXOjph7Sy
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ખરાબ હાર મળી છે. આ હારને લઈને પાર્ટી હાઈકમાન્ડે રવિવારે બેઠક બોલાવી હતી. ત્યારથી સતત કાર્યવાહીનો સમયગાળો શરૂ થઇ ગયો છે. સોનિયા ગાંધીએ આ રાજ્યોમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષો પાસેથી રાજીનામાની માંગ કરી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, 'આ રાજ્યોમાં સંગઠનના પુનર્ગઠન માટે પીસીસી અધ્યક્ષોને પદ છોડવા માટે કહેવામાં આવ્યું છે.'
આ પહેલાં સોનિયા ગાંધીએ પોતે પણ રાજીનામું આપવાની રજૂઆત કરી હતી
નોંધનીય છે કે આ પહેલાં સોનિયા ગાંધીએ પોતે પણ રાજીનામું આપવાની રજૂઆત કરી હતી. જો કે કોંગ્રેસના તમામ નેતાઓએ કહ્યું કે, સોનિયા ગાંધીએ રાજીનામું આપવાની જરૂર નથી. સોનિયા ગાંધીની સાથે પ્રિયંકા ગાંધીએ પણ મહાસચિવ પદેથી રાજીનામું આપવાની રજૂઆત કરી હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી હતી. જો કે બાદમાં ગાંધી પરિવાર રાજીનામું આપશે નહીં તે નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે કપિલ સિબ્બલ અને સંજય દીક્ષિત જેવા નેતાઓ હજુ પણ ખૂલીને કહી રહ્યા છે કે, ગાંધી પરિવારે રાજીનામું આપવું જોઈએ.
યુપી અને ઉત્તરાખંડના અધ્યક્ષોએ પણ આપ્યાં છે રાજીનામાં
આ આદેશના થોડા સમય બાદ ઉત્તરાખંડ કોંગ્રેસના અધ્યક્ષ ગણેશ ગોદિયાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યું હતું કે, રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હારની નૈતિક જવાબદારી સ્વીકારીને તેમણે રાજીનામું સોંપ્યું છે.
અજય લલ્લુએ પણ રાજીનામું આપી દીધું
અજય કુમાર લલ્લુએ પણ યુપી કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. લલ્લુએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની હારની નૈતિક જવાબદારી લેતા હું યુપી કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી રહ્યો છું. મારા જેવા સામાન્ય કાર્યકરમાં વિશ્વાસ રાખવા બદલ ટોચના નેતૃત્વનો આભાર. એક કાર્યકર્તા તરીકે હું સામાન્ય માણસના અધિકારો માટે લડતો રહીશ.'