પંજાબમાં હુસૈનીવાલામાં PM નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિ રહી જવાનાં મામલે હવે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ ઝુકાવ્યું હતું.
આખી ઘટના એક નાટક
આ સમગ્ર ઘટનાને તેમણે નાટક ગણાવ્યું હતું અને જણાવ્યું હતું કે તેઓને જ્યાં જવાનું હતું તે સ્થળે ખુરશીઓ ખાલી રહેવાના કારણે રેલી રદ કરવામાં આવી હતી. અન્યથા સુરક્ષાની કોઈ ક્ષતિ રહી નથી.
તો સામે બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં રહી ગયેલી ચૂક એ ગુપ્તચર તંત્રની નિષ્ફળતા અથવા મોટા ષડયંત્રનો ભાગ હતો કે કેમ આ અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે અને તેના જવાબની શોધ ચાલી રહી છે. આ દરમિયાન પંજાબના ADGPના પત્રથી એક મોટો ખુલાસો થયો છે અને પંજાબ સરકારના દાવાઓ ખુલ્લી પડી ગયા છે.
ADGPના પત્રથી મોટો ખુલાસો
ADGPના પત્ર મુજબ પંજાબ સરકાર ખેડૂતોના પ્રદર્શન બાબતે પહેલાથી જ વાકેફ હતી. એડીજીપીએ પંજાબ પોલીસને લખેલા પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 5મીએ વરસાદની આગાહી સાથે ખેડૂતોનાં ધરણા છે, તેથી વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે.
પંજાબ સરકારના દાવાની પોલ ખુલી
એટલે કે પંજાબના ADGP લો એન્ડ ઓર્ડરના પત્રથી પંજાબ સરકારના અનેક દાવાઓનો પર્દાફાશ થયો હોવાનું સ્પષ્ટ થયું છે. પંજાબના સીએમ ચન્નીએ કહ્યું હતું કે પીએમ મોદીની સુરક્ષામાં કોઈ ખામી રહી નથી. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ દાવો કર્યો હતો કે પીએમ મોદી રોડ માર્ગે ફિરોઝપુર જઈ રહ્યા છે તેની તેમને કોઈ માહિતી નથી.
પીએમ મોદીની સુરક્ષામાં ખામીનો મામલો સતત ચર્ચાઇ રહ્યો છે અને હવે તે સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી ગયો છે. પંજાબમાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામી હોવાનો મામલો ચીફ જસ્ટિસ એનવી રમનાની બેંચ સમક્ષ ઉઠાવવામાં આવ્યો હતો. આ મામલે આવતીકાલે (7 જાન્યુઆરી) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ શકે છે.
પંજાબમાં પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ચિંતા વ્યક્ત કરી છે. આજે પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ ભવન જઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. બન્ને વચ્ચે પંજાબમાં થયેલી સુરક્ષા ચૂક મામલે ચર્ચા થઈ હોવાનું કહેવાય છે. રાષ્ટ્રપતિએ પણ આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
રાષ્ટ્રપતિ કોવિંદે સુરક્ષામાં ભંગ પર ચિંતા વ્યક્ત કરી હતી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં ખામી હોવાના મામલે ચિંતા વ્યક્ત કરી છે. આ પછી પીએમ નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિને મળવા તેમના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા હતા.
ભાજપે રાજ્યપાલ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓ ગુરુવારે પંજાબના રાજ્યપાલને મળ્યા હતા અને PM નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. પંજાબ ભાજપના નેતાઓ રાજ્યપાલને મળ્યા હતા અને ગૃહમંત્રી અને ડીજીપીને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.
ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી
પંજાબ સરકારે પીએમ મોદીની ફિરોઝપુર મુલાકાત દરમિયાન થયેલી ભૂલોની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિમાં નિવૃત્ત ન્યાયાધીશ મહેતાબ સિંહ ગિલ, મુખ્ય સચિવ (હોમ અફેર્સ) અને જસ્ટિસ અનુરાગ વર્માનો સમાવેશ થશે. કમિટી 3 દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે એવી માહિતી મળી છે.