મુંબઇ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે મુંબઈ આવી પહોંચ્યા હતા અને નવી મુંબઈ ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટના શિલાન્યાસના કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી.આ કાર્યક્રમમાં સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે અનેક સરકારો આવી ગઈ પરંતુ એરપોર્ટનું નિર્માણ શક્ય ના બન્યું. આ કાર્ય કરવામાટે જે-તે સરકારની કાર્યશૈલી સૌથી વધારે અગત્યની બાબત હોય છે.
આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે અગાઉની સરકારનું કામ અટકાવવું લટકાવવું અને ભટકાવવું હતું. રૂ. 10 લાખ કરોડના પ્રોજેક્ટ આમ જ લટકતા અટકતા અને ભટકતા રહ્યા હતાં. આ પ્રોજેક્ટોને અમે ફરીવાર કાર્યરત કર્યો છે.આ એરપોર્ટનું કામ એકદમ ઝડપથી શરૂ થશે અને ઝડપભેર પુરૂ પણ કરવામાં આવશે.
આપને જણાવી દઇએ કે નવી મુંબઈ એરપોર્ટના નિર્માણ પાછળ રૂ. 16 700 કરોડનો ખર્ચ થનાર છે. 21 વર્ષથી આ એરપોર્ટની રાહ જોવાતી હતી. 1997માં રૂ. 3000 કરોડના ખર્ચે અન્ય એક એરપોર્ટની યોજના ઘડાઈ હતી પરંતુ રાજકીય ઈચ્છાશક્તિના અભાવને કારણે તથા પર્યાવરણની સમસ્યાઓ અને ફંડીંગ સહિતના અનેક કારણોને લીધે આ યોજનામાં વિલંબ થયો છે.આ એરપોર્ટનું નિર્માણ પૂર્ણ થતાં મુંબઈના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરના દબાણમાં સારા એવા પ્રમાણમાં ઘટાડો થશે.