ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર બાદ હવે નવઘણજી ઠાકોરે કોંગ્રેસનો OBC ચહેરો મુખ્યમંત્રી હોવાના સંકેત આપ્યા છે. તેમણે આડકતરી રીતે અમિત ચાવડા મુખ્યમંત્રી તરીકેનું નિવેદન આપ્યું છે.
આણંદના આંકલાવમાં અમિત ચાવડાની જનસભા
કોંગ્રેસનો OBC ચહેરો CM હોવાના નવઘણજી ઠાકોરે આપ્યા સંકેત
નવઘણજી ઠાકોરે આડકતરી રીતે અમિત ચાવડા CM તરીકેનું આપ્યું નિવેદન
બીજા તબક્કાના મતદાન પહેલા મીડિયામાં સૂત્રોને ટાંકીને સમાચાર વહેતા થયા છે કે કોંગ્રેસ દ્વારા નિર્ણય લેવાયો છે કે જો તેમની ગુજરાતમાં સરકાર બની તો OBC ચહેરો મુખ્યમંત્રી હશે. આ ઉપરાંત ગુજરાતમાં એક-બે નહીં ત્રણ નાયબ મુખ્યમંત્રી હશે. જે SC, ST અને અલ્પસંખ્યક સમુદાયમાંથી હશે. મીડિયામાં ચાલી રહેલા આ સમાચારને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે સમર્થન આપ્યા બાદ હવે નવઘણજી ઠાકોરે પણ આડકતરી રીતે અમિત ચાવડા CM તરીકેનું નિવેદન આપ્યું છે.
પરિણામ બાદ ટીવી પર અમિત ચાવડાનું નામ હશેઃ નવઘણજી ઠાકોર
આણંદના આંકલાવમાં અમિત ચાવડાના સમર્થનમાં જાહેરસભા યોજાઈ હતી. જેમાં નવઘણજી ઠાકોરે OBC ચહેરો કોંગ્રેસના CM હોવાના સંકેત આપ્યા હતા. સ્ટેજ પરથી માઈકમાં નવઘણજી ઠાકોરે જણાવ્યું હતું કે, 'અમિત ચાવડાને તમે 2012માં જીતાડ્યા હોય, 2017માં જીતાડ્યા હોય પણ 2022ની વિધાનસભા એ નિર્ણાયક ભૂમિકાવાળી છે. એટલે તમને હું વિનંતી કરવા આવ્યો છું કે દર વખતે તમે ધારાસભ્ય બનાવવા માટે મતદાન કરતા હતા, પરંતુ પાંચમી તારીખનું મતદાન તમે એટલા માટે કરો છો કે ગુજરાતમાં અમિત ચાવડાનું નામ હશે ટીવી ઉપર અને તમારી વિધાનસભાના કાર્યકરોને તો મજા પડી જવાની છે. આખું ગુજરાત તમને પૂછવા આવશે કે આ વિધાનસભામાં અમિતભાઈના ખાસ માણસ કોણ છે, અમારે મળવું છે સચિવાલય જવું છે, તમારો એવો સમય આવવાનો છે. '
જગદીશ ઠાકોરે પણ આપ્યું હતું સમર્થન
ગતરોજ વડગામ ખાતે યોજાયેલી જાહેર સભામાં સ્ટેજ પરથી જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, 'આજે મેં ટીવીમાં જોયું કે તેમાં ચાલતું હતું કે કોંગ્રેસના મુખ્યમંત્રી અને ત્રણ નાયબ મુખ્યમંત્રીને એવું, શું ખોટું છે એમાં?, આ અમારો નાયબ મુખ્યમંત્રી બને એવો નહીં?, અમારે પેલો અનંત પટેલ આદિવાસી આખા ગુજરાતની પોલીસ અને ભાજપ સામે લડે છે, એવો કદાચ ગુજરાતનો આદિવાસી મુખ્યમંત્રી બનતો હોય તો ચમ પેટમાં તેલ રેડાય છે. છેલ્લે છેલ્લે મીડિયામાં જે કંઈ ચાલી રહ્યું છે એ ભગવાન સાચુ કરે એવું દેખાઈ રહ્યું છે.'
સરકાર બનતા જ કોંગ્રેસનો CM OBC ચહેરો હશે
ગઈકાલથી મીડિયામાં સમાચાર ચાલી રહ્યા છે કે પ્રથમ તબક્કામાં ધીમી ગતિએ ચાલેલા મતદાનને જોતા ગુજરાત કોંગ્રેસ હવે મેદાને આવ્યું છે. આ માટે ગુજરાત કોંગ્રેસે જો તેમની સરકાર બનશે તો મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી કયા સમાજમાંથી હશે તે નક્કી કરી લીધું છે. કોગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના ચૂંટણીના ઓર્બ્ઝવર અશોક ગેહલોતે છેલ્લી ઘડીએ મોટી ચાલ ચાલી છે. આજે યોજાયેલી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોંગ્રેસનું બીજા તબક્કાના મતદાન પહેલાં ઓબીસી કાર્ડ
સૂત્રોના જણાવ્યા અનુસાર, બીજા તબક્કાના મતદાન પહેલા ગુજરાત કોંગ્રેસ જ્ઞાતિનું કાર્ડ રમવા જઈ રહ્યું છે. કોંગ્રેસ દ્વારા નિર્ણય લેવાયા કે જો તેમની ગુજરાતમાં સરકાર બની તો OBC ચહેરો મુખ્યમંત્રી હશે. આ ઉપરાંત ગુજરાતમાં એક-બે નહીં ત્રણ નાયબ મુખ્યમંત્રી હશે. જે SC, ST અને અલ્પસંખ્યક સમુદાયમાંથી હશે.