કેન્દ્રમાં નવી સરકાર બનાવવામાં પ્રાદેશિક પક્ષોની ભૂમિકાની અટકળો વચ્ચે બીજુ જનતાદળ (બીજેડી)ના ઉપાધ્યક્ષ અને ઓડિશાના પ્રધાન સૂર્યનારાયણ પાત્રોએ ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકનું નામ વડા પ્રધાન પદના ઉમેદવારના રૂપમાં આગળ કરતાં રાજકારણ ગરમાયું છે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે માત્ર છ દિવસ બાદ એટલે કે ૨૩ મેના રોજ લોકસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થવાનાં છે. કોઈ રાષ્ટ્રીય પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળે અને પ્રાદેશિક પક્ષોની મદદથી કેન્દ્રમાં સરકાર રચાય તો એની પરિસ્થિતિમાં બીજેડીને મોટો અવસર દેખાઈ રહ્યો છે.
ઓડિશાના સહકાર, અન્ન અને પુરવઠા પ્રધાન પાત્રોએ જણાવ્યું કે, ભારત અને ઓડિશાના લોકો ઈચ્છે છે કે, નવીન પટનાયક દેશના વડા પ્રધાન બને. ચૂંટણી પહેલાં પણ અમારે પીએમ બનાવવા અંગે ઘણા પક્ષો સાથે ચર્ચા થઈ ચૂકી છે. એ વખતે અમને હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. નવીન પટનાયક વડા પ્રધાન પદના શ્રેષ્ઠ ઉમેદવાર છે તેમાં બેમત હોઈ શકે નહીં.
પાત્રોએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, નવીન પટનાયકે વડાપ્રધાન બનવા માટે કોંગ્રેસનું સમર્થન લેવું જોઈએ નહીં. આ માટેનું કારણ દર્શાવતાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસનો ઈતિહાસ રહ્યો છે કે, તે પહેલાં તો કોઈ પણ નેતાને વડા પ્રધાન બનવા માટે સમર્થન આપે છે પણ થોડા મહિનાઓમાં જ તે પીછેહટ કરી લે છે અને સરકાર મુશ્કેલીમાં મુકાય છે.