દેશભરમાં કોરોના રસીની રાહ જોવાઇ રહી છે, સરકારે પણ તે મુદ્દે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, કોરોના રસી માટેના દેશવ્યાપી અભિયાનના પ્રથમ દિવસે, લગભગ 3 લાખ આરોગ્ય કર્મચારીઓને કોરોના રસી મૂકવામાં આવશે, 16 જાન્યુઆરીના દિવસે દેશભરમાં 2,934 સ્થળોએ રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવશે.
એક રસીકરણ સેશનમાં સરેરાશ 100 લોકોને રસી આપવામાં આવશે
સૂત્રોના જણાવ્યા અનુસાર એક કેન્દ્રમાં એક રસીકરણ સેશનમાં સરેરાશ 100 લોકોને રસી આપવામાં આવશે, બુધવારે, આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, “રાજ્યોને એક રસીકરણ સેશનમાં સરેરાશ 100 લોકોને રસી આપવાની સલાહ આપવામાં આવી છે, એક દિવસમાં એક સ્થળ પર વધુ સંખ્યામાં રસીઓ ન મુકવામાં આવે અને દોડાદોડી ન કરવામાં આવે તેવા સૂચનો રાજ્યોને આપવામાં આવ્યા છે."
રાજ્યોને વધુમાં વધુ રસીકરણ સ્થળો બનાવવાની સલાહ
કેન્દ્ર સરકારે રાજ્યોને વધુમાં વધુ રસીકરણ સ્થળો બનાવવાની સલાહ આપી છે જેથી રસીકરણની સરળ અને સતત પ્રક્રિયા ચાલુ રાખી શકાય. મંગળવારે સરકારે સંકેત આપ્યો કે આરોગ્ય કર્મચારીઓ પાસે તેઓ કઈ કંપનીની રસી લેવા માંગે છે તેનો વિકલ્પ રહેશે.
કોવિશિલ્ડ અને કોવેક્સિન એમ બે વિકલ્પો ઉપલબ્ધ
હાલમાં તેમની પાસે બે રસીનો વિકલ્પ છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવતી એક રસી કોવીશીલ્ડ છે જયારે બીજો વિકલ્પ કોવેકસીન છે જે ભારત બાયોટેક કંપની દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. ભૂતકાળમાં બંને કંપનીઓને ઇમર્જન્સી યુઝેજ માટે મંજૂરી આપવામાં આવી હતી.
એવો કોઈ દેશ નથી જે રસીનો ડોઝ પસંદ કરવાનો વિકલ્પ આપે
આરોગ્ય મંત્રાલયના મતે, રસીકરણ પ્રક્રિયા સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે. જો કોઈ આરોગ્ય કાર્યકર્તા રસી લેવાનો ઇનકાર કરે છે, તો રસી લેવાની કોઈ ફરજ નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે "ઘણા દેશોમાં એક કરતા વધારે રસીનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ હાલમાં એવો કોઈ દેશ નથી જે રસીનો ડોઝ પસંદ કરવાનો વિકલ્પ આપે."
શરૂઆતમાં 1 કરોડ આરોગ્ય કર્મચારીઓ અને 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના રસી આપવામાં આવશે
સરકારના જણાવ્યા મુજબ શરૂઆતમાં આશરે 1 કરોડ આરોગ્ય કર્મચારીઓ અને 20 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના રસી આપવામાં આવશે, ત્યારબાદ 50 વર્ષથી વધુ ઉંમરના લોકો, ત્યારબાદ 50 વર્ષથી ઓછી વયના લોકો, જેઓ આ રોગ માટે વધુ સંવેદનશીલ છે અથવા સંક્રમિત છે તેમને અપાશે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આ ત્રણ કરોડ આરોગ્ય કર્મચારીઓ અને હેલ્થ વર્કરની રસીનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે.
અત્યાર સુધીમાં 1.65 કરોડ ડોઝ કોરોના રસીની ખરીદી કરવામાં આવી
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા અત્યાર સુધીમાં 1.65 કરોડ ડોઝ કોરોના રસીની ખરીદી કરવામાં આવી છે. જેમાંથી 1.1 કરોડ ડોઝ કોવીશીલ્ડના છે અને 55 લાખ ડોઝ કોવેક્સિનના છે. આ રસીઓ આરોગ્ય કર્મચારીઓની સંખ્યાના પ્રમાણમાં ધીમે ધીમે કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યોમાં લઈ જવામાં આવી રહી છે.
કોવિશિલ્ડ રસીના 1.1 કરોડ ડોઝ સીરમ ઇન્સ્ટિટ્યૂટની પુણે સ્થિત લેબમાંથી દેશના 60 મોટા સ્થળોએ લઈ જવામાં આવ્યા છે જ્યાંથી તેને દેશના નાના સ્થળોએ લઈ જવામાં આવશે. તે જ સમયે, સ્વદેશી રીતે વિકસિત કોવેક્સિનના 55 લાખ ડોઝમાંથી 2.4 લાખ ડોઝનો પ્રથમ હિસ્સો 12 રાજ્યોમાં મોકલવામાં આવ્યો છે.
કોવેક્સિનનો જથ્થો 12 સ્થળો પર મોકલવામાં આવ્યો છે
એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે કોવેક્સિન 12 સ્થળો પર મોકલવામાં આવ્યો છે, આ 12 સ્થળોના નામ નીચે મુજબ છે - ગણવરામ, ગુવાહાટી, પટના, દિલ્હી, કુરુક્ષેત્ર, બેંગલુરુ, પુણે, ભુવનેશ્વર, જયપુર, ચેન્નઈ, લખનઉ અને હૈદરાબાદ. તમને જણાવી દઈએ કે કોબેક્સિન ભારત મેડિકલ રિસર્ચ (ICMR) ના સહયોગથી ભારત બાયોટેક કંપની દ્વારા વિકસાવવામાં આવી છે.
બે ડોઝમાં લેવાની રહેશે રસી
આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ કહ્યું છે કે COVID-19 રસીના બે ડોઝ વચ્ચે 28 દિવસનો તફાવત રહેશે અને તેની અસર 14 દિવસ પછી જ જોઇ શકાશે.