મુંબઇ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં એક નવુ સંકટ ઉભુ થયુ છે. મહારાષ્ટ્રના પૂર્વ ઉપ મુખ્યમંત્રી વિજય સિંહ મોહિતે પાટીલના પુત્ર રંજિતસિંહ મોહિતેએ NCPમાંથી રાજીનામુ આપ્યુ છે. તેઓએ ભાજપમાં જોડાવાના સંકેત આપ્યા છે.
રંજીતસિંહે ટ્વીટ કરીને પોતાનો બળાપો પણ કાઢ્યો છે અને પોતાની પાર્ટીના સમર્થકો પાસે માર્ગદર્શન માગ્યુ છે. તેઓએ કહ્યું કે, તમે કહો શું કરવું અને કેવી રીતે કરવું. શું આપણે સહન કરતા રહેવું જોઈએ કે પછી આપણા ભવિષ્ય, પ્રગતિ અને વિકાસ માટે જવાબી હુમલો કરવો જોઈએ. તમે જ નિર્ણય કરો પણ મારો નિર્ણય આ જ છે. સાથો સાથ તેઓએ પોતાના સમર્થકોને સોલાપુર સ્થિત પોતના ઘરમાં બેઠકમાં સામેલ થવા પણ અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દેશના તમામ રાજકીય પક્ષો પોતાનો પક્ષ વધુ બહોળી રીતે ઉપસી આવે તે માટે મહેનત કરતા હોય છે. તો એક તરફ કેટલાક નેતાઓ પક્ષથી નારાજ થઇને પક્ષને અલવિદા પણ કરે છે ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ એક રાજકીય ભૂકંપ સર્જાયો હતો.
મહારાષ્ટ્રના પૂર્વ ઉપ મુખ્યમંત્રી વિજય સિંહ મોહિતે પાટીલના પુત્ર રંજિતસિંહ મોહિતેએ NCPમાંથી રાજીનામુ ધરી દેતા રાજકારણમાં ગરમાવો ફેલાઇ જવા પામ્યો હતો. તો સૂત્રોના જણાવ્યાનુસાર રંજિતસિંહ મોહિતે આગામી સમયમાં ભાજપનો હાથ પકડી શકે તેવા સમાચારો પણ પ્રાપ્ત થયા હતા.