પશ્ચિમ બંગાળમાં વર્ષોથી ચાલી રહેલો 'કટ મની' નો ખેલ આખરે ખતમ થઈ ગયો છે. થોડા દિવસો પહેલાં જ મુખ્યપ્રધાન મમતા બેનરજીએ તેમની તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)ના નેતાઓ અને જનપ્રતિનિધિઓને 'કટ મની' નહીં લેવાના આદેશ આપ્યા હતા. હવે તો બંગાળમાં જનતાને આ 'કટ મની' ની રકમ પણ પરત કરવામાં આવી રહી છે.
લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે પશ્ચિમ બંગાળ સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા અને સમગ્ર દેશમાં તેનો હોબાળો મચ્યો હતો.
શું હોય છે આ 'કટ મની' ? જાણશો તો દંગ થઈ જશો
'કટ મની' એ હકીકતમાં સત્તાધારી નેતાઓ દ્વારા સ્થાનિક ક્ષેત્રની પરિયોજનાઓ માટે મળેલી ધનરાશિ (રકમ)માંથી લેવામાં આવતું અનઔપચારિક 'કમિશન' છે. જો સરકાર કોઈ ખાસ પરિયોજના માટે રૂ.100 જારી કરે તો સ્થાનિક નેતા કે ચૂંટાયેલા પ્રતિનિધિ કમિશન પેટે તેમાંથી 25 રૂપિયા વસૂલે તેને 'કટ મની' કહેવામાં આવે છે. આ કમિશન નાના નેતાથી લઈને ટોચના નેતા સુધી તમામ લોકો વચ્ચે સિનિયોરિટીના આધારે વહેંચવામાં આવે છે.
અબજોની યોજનામાં કરોડોનું 'કટ મની' : ગરીબ મજૂરોની મજૂરી પણ ખાઈ ગયા નેતાઓ!
'કટ મની' મોટાભાગે રોકડ (કેશ)માં જ સ્વીકારવામાં આવે છે, જેનાથી આ લોકો ઈન્કમ ટેક્સ અને એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)ની નજરમાંથી આબાદ બચી જાય છે. મોટી-મોટી સરકારી પરિયોજનાઓ અબજો રૂપિયાની હોય છે, આથી તેનું 'કટ મની' પણ કરોડોમાં બને છે. તાજેતરમાં જ ટીએમસીના બૂથ અધ્યક્ષ ત્રિલોચન મુખરજીએ 2.25 લાખ રૂપિયાથી વધારેની રકમ પરત કરી, જે 141 મજૂરોને આપવામાં આવેલી 8 દિવસની મજૂરીમાંથી વસૂલવામાં આવી હતી.
એવું પણ નથી કે 'કટ મની' કે કમિશનની આ 'ગંભીર બીમારી' ફક્ત ટીએમસી કે પશ્ચિમ બંગાળ સુધી જ સીમીત છે. ગયા વર્ષે જારી થયેલા એક ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ રિપોર્ટમાં ધડાકો કરવામાં આવ્યો હતો કે, ભારતમાં લાંચ-રુશ્વતના બનાવો દર વર્ષે 11 ટકાના દરે વધે છે. તેમાં પંજાબ, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના સરકારી અધિકારીઓ સૌથી વધુ ભ્રષ્ટ હોવાનો ખુલાસો પણ કરવામાં આવ્યો હતો.
મમતાની 'કટ મની' પરત કરવાની ચેતવણીથી કાર્યકરો, નેતાઓ નારાજ
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ ગયા સપ્તાહે જ પક્ષના કાર્યકરોની બેઠકમાં 'કટ મની' લેવાનું બંધ કરી, અત્યાર સુધી વસૂલેલા નાણાં પરત કરવા અથવા તો જેલમાં જવા તૈયાર રહેવાની ચેતવણી આપી હતી. સીએમની આ ચેતવણીથી ઘણા કાર્યકરો અને નેતાઓ ભારે નારાજ પણ થયા છે. તેઓ માને છે કે, પક્ષના અનેક દિગ્ગજ નેતાઓ હજુ પણ 'કટ મની' વસૂલી રહ્યા છે, પણ તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી.