ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચેરમેન એમ. વેંકૈયા નાયડુએ ભલે સ્પષ્ટપણે જણાવી દીધું હોય કે, જો કોઈ બિલ રાજ્યસભામાં પાંચ વર્ષ કરતા વધુ સમયથી પેન્ડિંગ હોય તો તેને નિષ્પ્રભાવી માનવામાં આવશે. પરંતુ આ સાથે જ એક ચોંકાવનારી વાત પણ સામે આવી છે.
રાજ્યસભામાં એક બિલ છેલ્લા 32 વર્ષથી લટકેલું છે. નાયડુએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, જે 33 બિલ લાંબા સમયથી પેન્ડિંગ છે તેમાં વર્ષ 1987નું મેડિકલ કાઉન્સિલ (સંશોધન) બિલનો પણ સમાવેશ થાય છે. આ બિલ રાજ્યસભામાંથી પસાર થઇ ગયું છે પણ હજુ સુધી લોકસભામાં પસાર થઈ શક્યું નથી.
ઉલ્લેખનીય છે કે, નિયમ અનુસાર લોકસભામાંથી જો કોઈ બિલ પસાર થઈને રાજ્યસભામાં આવે છે અને લોકસભાનો કાર્યકાળ સમાપ્ત થાય ત્યાં સુધી રાજ્યસભામાં આ બિલ પસાર ન થાય તો તેને લોકસભાનો કાર્યકાળ ખતમ થતા જ નિષ્પ્રભાવી માની લેવામાં આવે છે. જ્યારે રાજ્યસભામાં આવું થતું નથી.
જો કોઈ બિલ પહેલા રાજ્યસભામાં પસાર થાય છે તો તે લોકસભામાંથી પસાર ન થાય ત્યાં સુધી રાજ્યસભાની સંપત્તિ બની જાય છે. આ દરમિયાન લોકસભા ભંગ થાય તો પણ આ બિલ પ્રભાવી રહે છે. આથી જ 1987માં રજૂ કરવામાં આવેલું મેડિકલ કાઉન્સિલ (સંશોધન) બિલ આજે પણ રાજ્યસભામાં જ અટવાયેલું છે.
16મી લોકસભામાં લોક ઉપયોગી 22 બિલ લોકસભામાંથી પસાર થઈને રાજ્યસભામાં આવ્યા હતા, પરંતુ તે રાજ્યસભામાં પસાર થઈ શક્યા ન હતા. લોકસભા ભંગ થયા બાદ નિયમ અનુસાર હવે આ તમામ બિલ આપોઆપ નિષ્પ્રભાવી બની ગયા છે. વેંકૈયા નાયડુએ હવે સદનના કામકાજની પદ્ધતિમાં મોટા ફેરફાર કરવાના પણ સંકેત આપ્યા છે. હકીકતમાં સદનના કાર્યને શ્રેષ્ઠ બનાવવા માટે એક કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીએ આપેલા સૂચનો પ્રમાણે હવે અમલ કરવામાં આવશે.