કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને અપડેટ કરવાની મંજૂરી આપી દીધી છે. 2021ની જનગણતરીથી પહેલા એપ્રિલ 2020થી સપ્ટેમ્બર 2020 સુધી રજિસ્ટરને અપડેટ કરવામાં આવશે. એનઆરસી અને નાગરિકતા સંશોધન કાયદા પર ચર્ચા વચ્ચે એનપીઆર (NPR) એટલે કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરને લઇને પણ લોકોમાં વિવિધ સવાલ છે.
અહીં જાણીએ કે, NPR શું છે અને તેનો હેતુ શું છે :
શું છે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર? (NPR)
એનપીઆર ભારતમાં રહેતા સ્વાભાવિક રહેવાસીઓનું એક રજિસ્ટર છે. તેને ગ્રામ પંચાયત, રાષ્ટ્રીય સ્તર, રાજ્ય સ્તર, જિલ્લા, ઉપ જિલ્લા અને સ્થાનીય સ્તરે તૈયાર કરવામાં આવે છે. નાગરિકતા કાયદો, 1955 અને સિટિજનશિપ નિયમ, 2003ની જોગવાઇ હેઠળ આ રજિસ્ટર તૈયાર થયા છે.
શું છે આ સ્કીમનો ઉદ્દેશ્ય ?
દેશના તમામ નિવાસીની પૂર્ણ ઓળખ અને અન્ય જાણકારીઓના આધાર પર તેમનો ડેટાબેઝ તૈયાર કરવાનો તેનો મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય છે. સરકાર પોતાની યોજનાઓને તૈયાર કરવા, છેતરપિંડીને રોકવા અને દરેક પરિવાર સુધી સ્કીમોનો લાભ પહોંચાડવા માટે તેનો ઉપયોગ કરે છે.
કઇ જોગવાઇ હેઠળ તૈયાર થાય છે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર? ( NPR)
નાગરિકતા કાયદો, 1955 અને 2004માં સંશોધિત કરવામાં આવ્યો હતો. તેના હેઠળ એનપીઆર (NPR) ની જોગવાઇ જોડવામાં આવી. સિટિજનશિપ એક્ટ, 1955ના સેક્શન 14A માં આ જોગવાઇ નક્કી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દેશના તમામ નાગરિકનું ફરજીયાત રજિસ્ટ્રેશન કરી રાષ્ટ્રીય ઓળખ પત્ર જાહેર કરી શકે છે. સરકાર દેશના દરેક નાગરિકનું રજિસ્ટર તૈયાર કરી શકે છે, અને તેના માટે નેશનલ રજિસ્ટ્રેશન ઓથોરિટીનું પણ ગઠન કરવામાં આવી શકે છે.
શું એનપીઆર (NPR) હેઠળ રજિસ્ટ્રેશન ફરજિયાત છે?
નાગરિકતા કાયદોમાં 2004માં થયેલા સંશોધન મુજબ સેક્શન 14 હેઠળ કોઇપણ નાગરિક માટે એનપીઆરમાં રજિસ્ટ્રેશન ફરજિયાત છે.
એનપીઆર (NPR) માં કેવી રીતે કરાવી શકો છો રજિસ્ટ્રેશન?
એપ્રિલ 2020થી સપ્ટેમ્બર 2020 દરમિયાન એનપીઆર (NPR) તૈયાર કરવામાં કર્મચારીઓ ઘરે-ઘરે જઇને ડેટા મેળવશે. ત્યારબાદ તેને ઇલેક્ટ્રોનિક ડેટાબેઝ તરીકે તૈયાર કરવામાં આવશે. ફોટોગ્રાફ, ફિંગરપ્રિન્ટ જેવી બાબતોને તેમા સામેલ કરવામાં આવશે. આ આખી પ્રક્રિયા એનપીઆર માટે નિમણૂંક કરવામાં આવેલા સરકારી અધિકારીઓની દેખરેખમાં થશે.
એનપીઆરમાં કઇ જાણકારીઓ નોંધવામાં આવશે?
તેમા વ્યક્તિનું નામ, ઘરના મોભી સાથે સંબંધ, પિતાનું નામ, માતાનું નામ, પતિ/ પત્નીનું નામ, જાતિ, જન્મ તારીખ, પરિણિત કે કુંવારા, જન્મ સ્થાન, રાષ્ટ્રીયતા, ટેમ્પરરી સરનામું, પરમેનન્ટ, સરનામું, વ્યવસાય, શૈક્ષણિક યોગ્યતા, વ્યવસાય અને બાયોમેટ્રિક ડિટેલ્સને તેમા સામેલ કરવામાં આવશે. 5 વર્ષથી વધારે ઉંમરના લોકોને જ તેમા સામેલ કરવામાં આવશે.
શું NRI ને પણ NPRમાં સામેલ કરવામાં આવશે?
એનઆરઆઇ ભારતના સામાન્ય નાગરિક માનવામાં આવતા નથી અને તેમના બહાર રહેવાના પગલે તેમને એનપીઆરમાં સામેલ કરવામાં નહીં આવે. જો તેઓ ભારતમાં આવે છે અને અહીં રહેવા લાગે છે, તો તેઓએ પણ એનઆરપીમાં સામેલ કરવામાં આવશે.
ખોટી જાણકારી આપવા પર શું થશે?
જો એનપીઆર હેઠળ તમે ખોટી માહિતી આપો છો તો સિટિજનશિપ નિયમ, 2003 હેઠળ આપને દંડ આપવો પડશે.
શું એનપીઆર હેઠળ ઓળખ પત્ર જાહેર કરવામાં આવે છે ?
સરકાર એનપીઆર હેઠળ આઇડેન્ટિટી કાર્ડ જાહેર કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. આ એક પ્રકારે સ્માર્ટ કાર્ડ હશે, જેમા આધારનો પણ ઉલ્લેખ થશે.
એનપીઆર અને આધાર વચ્ચે શું સંબંધ છે ?
એનપીઆર ભારતમાં રહેતા લોકોનું એક સામાન્ય રજિસ્ટર છે. તેના આધારે મેળવવામાં આવેલો ડેટા UIDAIને રી-ડ્યુપ્લિકેશન અને આધાર નંબર જાહેર કરવા માટે મોકલવામાં આવશે. આ રજિસ્ટરમાં ત્રણ મુખ્ય વસ્તુઓ-ડેમોગ્રાફિક ડેટા, બાયોમેટ્રિક ડેટા અને આધાર નંબર સામેલ થશે.
અમિત શાહે NPR પર આમ કહ્યું
પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારતની જનગણતરી 2021ની પ્રક્રિયા શરૂ કરવા અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR) ને અપડેટ કરવાની મંજૂરી આપી દીધી છે. ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું છે કે, એનપીઆર (NPR) અને એનઆરસી (NRC) વચ્ચે કોઇ સંબંધ નથી.
જ્યારે તેઓને પૂછવામાં આવ્યું કે, જો એનપીઆરમાં કોઇનું નામ સામેલ થવાથી રહી જાય છે તો, શું તેની નાગરિકતા ચાલી જશે, તો અમિત શાહે કહ્યું કે, હું આ વાત સ્પષ્ટ કરું છું કે, એનપીઆરમાં કોઇનું નામ સામેલ ન હોવાથી કોઇની નાગરિકતા જશે નહીં. આ એનઆરસીથી અલગ છે.