ગુજરાતમાં મોટર વ્હીકલ એક્ટનો અમલ હાલ થશે નહિં. લોકોને 15 દિવસ સુધી આ મસમોટા દંડમાંથી રાહત મળશે. મોટર વ્હીકલ એક્ટ ટ્રાન્સપોર્ટ વિભાગના જાહેરનામા બાદ અમલમાં આવશે. નવા એક્ટનો ગુજરાતીમાં અનુવાદ બાદ જાહેરનામું બહાર પાડવામાં આવશે.
મોટર વ્હીકલ એક્ટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતભરમાં તેના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર હવે પહેલાથી વધુ દંડ વસૂલવામાં આવશે અને સજા પણ થઇ શકે છે. જોકે ગુજરાતમાં 15 દિવસ સુધી આ મોટર વ્હીકલ એક્ટનો અમલ કરવામાં આવશે નહીં. પરંતુ ગુજરાતીમાં અનુવાદ બાદ આગામી સમયમાં આ નિયમો ફરજિયાત બનશે. મહત્વનું છે કે, મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, દંડની જોગવાઈ અંગે આગામી સપ્તાહમાં ઉચ્ચ અધિકારીઓની બેઠક મળશે. RTO અને પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠક મળશે.
શું છે નિયમો?
હેલમેટ, સીટબેલ્ટ, અંડરએજ ડ્રાઇવિંગ, વગર લાયસન્સ ગાડી ચલાવવી, સ્પીડિંગ-રેસિંગ, ખતરનાક ડ્રાઇવિંગ જેવા કેટલાક પ્રકારના ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન કરવા પર પહેલાથી દસ ગણો વધુ દંડ વસૂલવામાં આવશે.
જે 1 સપ્ટેમ્બરથી આ સંશોધિત બિલ લાગૂ કરી દેવામાં આવ્યું છે. આ નવા સંશોધિત બિલમાં રોડ અકસ્માતોને રોકવા કેટલીક નવી જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ ટ્રાફિક નિયમો તોડવા પર દંડને વધારવામાં આવ્યો છે, ત્યારે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને જેલ પણ મોકલી શકે છે. વાહનો ચલાવવા પર કડક જોગવાઇ રાખવામાં આવી છે.
વાહનો દ્વારા ટ્રાફિક નિયમો તોડનારાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીની જોગવાઇ પણ કરવામાં આવી છે. દંડની રકમ પણ હવે 10 ગણી વધારી દીધી છે. હવે જો તમને લાપરવાહીમાં વાહન ચલાવશો અને નિયમોને ભંગ કરશો તો મોટી રકમ ચૂકવવી પડશે. સંશોધિત મોટર વ્હીકલ એક્ટમાં નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરનારા પર 10 હજારનો દંડ અને છ મહિનાના કારાવાસની જોગવાઇ કરવામાં આવી છે. બીજી વખત પકડાવા પર 15 હજાર રૂપિયા દંડ અને બે વર્ષ કેદની જોગવાઇ છે.
શું છે દંડની જોગવાઇઓ?
ટ્રાફિક અધિકારીઓનો આદેશ ન માનવા પર રૂપિયા 2000 આપવા પડશે. જે પહેલા રૂપિયા 500 દંડ હતો.
વગર હેલ્મેટથી બાઇક ચલાવવા પર રૂપિયા 1000 દંડ અને ત્રણ મહિના માટે લાયસન્સ જપ્ત. જે અત્યાર સુધી 100 રૂપિયા જ હતો.
વગર ટિકિટે બસ યાત્રા કરવા પર રૂપિયા 500 લાગશે. પહેલા 200 રૂપિયા હતા.
ઓવરલોડિંગ કરવા પર 20 હજાર સાથે 2000 રૂપિયા પ્રતિ ટન દંડ. જે પહેલા 2000 અને 1000 પ્રતિ ટન હતા.
ઇમરજન્સી વાહનોને રોક્યા તો 10 હજાર રૂપિયા આપવા પડશે.
હિટ એન્ડ રનઃ પીડિત પરિવારોને 2 લાખ સુધીની મદદ
હિટ એન્ડ રન મામલાઓમાં પીડિત પરિવારોને 2 લાખ સુધીની મદદ સરકાર કરશે, અત્યારે આ રકમ 25 હજાર રૂપિયા છે. જેનાથી લોકોને આ પ્રકારની દુર્ઘટનાઓ બાદ આર્થિક મદદ મળી શકશે.