ભારતીય વાયુસેનાને ટૂંક સમયમાં 10 નવા રાફેલ મળવાની જાણકારી સામે આવી છે, જેમાંથી અમુકને ચીન સરહદ નજીકના હાશીમારા એરબેઝ પર તૈનાત કરવામાં આવશે.
ભારતીય વાયુસેનાને મળશે 10 રાફેલ
ચીન સરહદ નજીક તૈનાત કરવામાં આવશે
ભારતે ફ્રાંસની સાથે 36 રાફેલનો કર્યો છે સોદો
ખૂબ જ ઓછા સમયમાં ભારતીય વાયુસેનાના ફાયરપાવરને વધુ મજબૂતી મળી શકે છે, લગભગ એક મહિનાની અંદર, એરફોર્સના કાફલામાં 10 વધુ રાફેલ ફાઇટર એરક્રાફ્ટ જોડાશે, અને મહત્વનું છે કે આ રાફેલ ફાઇટર વિમાનો બીજા સ્ક્વોડ્રોનની રચના માટે પણ માર્ગ મોકળો કરશે. નવા વિમાનોના આગમન સાથે, એરફોર્સમાં રાફેલની સંખ્યા 21 થઈ જશે. અગાઉ, એરફોર્સના અંબાલા બેઝના 17 સ્ક્વોડ્રનમાં 11 રાફેલ સામેલ થઈ ચૂક્યા છે.
ફ્રાંસથી આવશે રાફેલ
સરકાર સાથે સંકળાયેલા વરિષ્ઠ સૂત્રોએ ન્યૂઝ એજન્સી ANIને કહ્યું, 'ત્રણ રાફેલ લડાકુ વિમાનો બેથી ત્રણ દિવસમાં સીધા ફ્રાન્સથી ભારત જશે, જેનું આકાશમાં જ મિત્ર દેશોની વાયુસેના દ્વારા ઈંધણનું રિફયુલીંગ કરી આપવામાં આવશે. આ પછી, આવતા મહિનાના બીજા પખવાડિયામાં, સાતથી આઠ ફાઇટર એરક્રાફ્ટ અને તેમનું ટ્રેનર વર્ઝન પણ ઉપલબ્ધ થશે. આ સાથે આપણી વાયુસેનાને વધુ મજબૂતી મળશે.
સૂત્રોએ જણાવ્યું છે કે ફ્રાન્સથી આ તમામ વિમાન અંબાલા એર બેઝ પર પહોંચશે. ત્યાંથી, આમાંથી કેટલાકને હાશીમારા મોકલવામાં આવશે, જ્યાં રફાલ લડાકુ વિમાનોના બીજા સ્ક્વોડ્રનની રચનાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, મહત્વનું છે કે સ્ક્વોડ્રનમાં 15 થી 18 વિમાનો હોય છે. બંગાળના અલીપુરદ્વાર જિલ્લામાં ભારત-ભુતાન સરહદની નજીક હાશીમારા એરફોર્સ સ્ટેશન છે. 2016 માં, ભારતે ફ્રાન્સના દસોલ એવિએશન સાથે 36 રાફેલ લડાકુ વિમાનો ખરીદવા માટેના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. આ વર્ષે એપ્રિલના અંત સુધીમાં અડધા વિમાનો ભારતને મળી જવાની સંભાવના છે.
હાશીમારા ચીન સરહદની નજીક આવેલું છે
હાશીમારા એ એરફોર્સના સંચાલન માટે એક વ્યૂહાત્મક મથક છે કારણ કે તે ભૂટાન અને ચુંબી ખીણની નજીક છે. ચુંબી ખીણમાં જ, ભારત, ભૂટાન અને ચીન અને ડોકલામ વચ્ચેનો ટ્રાઇ-જંકશન આવેલું છે જ્યાં 2017 માં ચીની સેના સાથે લાંબો ટકરાવ થયો હતો. આ જગ્યા ત્રણેય દેશો માટે વ્યુહાત્મક રીતે મહત્વની છે.