જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોના નરસંહારની તપાસની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે અરજીકર્તા એનજીઓને પહેલા સરકાર પાસે જવા માટે કહ્યું
કાશ્મીરી પંડિતો પર થયેલ અત્યાચારની તપાસ કરવા માંગ
સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલ અરજીમાં તેણે સરકાર પાસે જવા કહ્યું
તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવા જણાવ્યું
જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોના નરસંહારની તપાસની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે અરજીકર્તા એનજીઓ વી ધ સિટિઝન્સને કેન્દ્ર સમક્ષ રજૂઆત કરવા માટે જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે એનજીઓને પહેલા સરકાર પાસે જવા માટે કહ્યું. ત્યાં રજૂઆત કરો, હાલ પૂરતી તમારી અરજી પાછી ખેંચો. અરજીમાં ત્રણ દાયકા પહેલા બનેલી આ ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવા, રિહેબિલિટેશન અને પ્રોપર્ટી પરત કરવાની માંગ કરવામાં આવી હતી.
એક સ્પેશીયલ ટીમની રચના થવી જોઈએ
ન્યાયાધીશ બી આર ગવાઈ અને સી ટી રવિકુમારની ખંડપીઠે આ અરજીની સુનાવણી કરી હતી. વી ધ સિટીઝને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી જેમાં 1990થી 2003 દરમિયાન કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો અને શીખોના નરસંહાર અને અત્યાચારોની તપાસ માટે એસઆઇટીની રચના કરવાની માગણી કરવામાં આવી હતી. આ અરજીમાં કાશ્મીરમાં ઉત્પીડિત હિન્દુઓ અને વિસ્થાપિતોના પુનર્વસનની પણ માંગ કરવામાં આવી હતી.
ભારતમાં વિવિધ ભાગમાં રહેતા હિંદુ શીખોની વસ્તી ગણતરી થવી જોઈએ
આ અરજી એનજીઓ 'વી ધ સિટીઝન્સ' દ્વારા એડવોકેટ વરુણ કુમાર સિંહા દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેમાં તેમણે કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર સરકારને વિનંતી કરી હતી કે 90ના દાયકામાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં થયેલા નરસંહાર બાદ ભારતના વિવિધ ભાગોમાં રહેતા હિન્દુઓ અને શીખોની વસ્તી ગણતરી કરવાનો નિર્દેશ આપવામાં આવે. તેમાં કહેવામાં આવ્યું હતું કે એક વિશેષ તપાસ ટુકડી (SIT) ની રચના કરવામાં આવે અને 1989 થી 2003 દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં હિન્દુઓ અને શીખોના નરસંહારમાં સામેલ અને મદદ અને ઉશ્કેરણી કરનારા ગુનેગારોની ઓળખ કરવામાં આવે. એસઆઈટી રિપોર્ટના આધારે આરોપીઓ પર કેસ ચલાવવાનો નિર્દેશ આપવો જોઈએ. તેણે તાજેતરના મહિનાઓમાં કાશ્મીર ખીણમાં માર્યા ગયેલા કાશ્મીરી પંડિતોની હત્યાની તપાસની માંગ પણ કરી હતી.
2017માં સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી
અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે જે લોકો 1990 બાદ કાશ્મીર છોડીને પોતાની અચલ સંપત્તિ છોડીને ચાલ્યા ગયા છે, તેઓ ભારતના અન્ય ભાગોમાં શરણાર્થીઓનું જીવન જીવી રહ્યા છે. તે લોકોને ઓળખી કાઢવા જોઈએ અને તેમનું પુનર્વસન થવું જોઈએ. આ પહેલા 2017માં સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરીને 1989-90માં કાશ્મીરી પંડિતોની હત્યાની તપાસની માંગ કરવામાં આવી હતી. તે અરજી કોર્ટે ફગાવી દીધી હતી.
ફરીથી મુદ્દો ઉઠ્યો
કોર્ટે આદેશમાં કહ્યું હતું કે હત્યાકાંડના 27 વર્ષ બાદ પુરાવા એકઠા કરવા મુશ્કેલ છે. માર્ચમાં દાખલ કરવામાં આવેલી નવી અરજીમાં કહેવામાં આવ્યું છે કે જો 33 વર્ષ બાદ 1984ના રમખાણો (સિખ રમખાણો)ની તપાસ કરી શકાય છે તો આ કેસમાં પણ આવું જ શક્ય છે.