મોઢેરા સૂર્યમંદિર ખાતે 15ની ઑગષ્ટના રોજ પહેલીવાર જોવા મળશે દેશભક્તિનો નજારો, કાયમી ધોરણે લહેરાશે ભારતનો તિરંગો
મોઢેરા સૂર્યમંદિર ખાતે તિરંગો લહેરાશે
આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ આયોજન કર્યું
15 ઓગસ્ટે સૂર્યમંદિર ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન શરૂકરવામાં આવ્યું છે. 13 થી 15 ઑગષ્ટ સુધી આ અભિયાન અંતર્ગત દરેક ઘરમાં તિરંગો લહેરાવાશે. આ વખતનો સ્વતંત્રતા પર્વ હંમેશને માટે યાદગાર બની રહેશે કારણ કે પહેલી વાર એવુ બનશે કે જ્યાં નજર પહોંચે ત્યાં આપણા દેશનો તિરંગો ગર્વની લહેરાતો દેખાશે. આ સ્વતંત્રતા પર્વ યાદગાર એટલે પણ બની રહેશે કારણ કે ક્યારેય ન બન્યુ હોય તેવા કાર્યક્રમોનું આ વખતે આયોજન કરવામાં આવ્યું છે. તેમાનો એક છે મોઢેરા સૂર્ય મંદિર ખાતે લહેરાવાશે તિરંગો
સૂર્ય મંદિર ખાતે લહેરાશે તિરંગો
જી, હા મોઢેરા સૂર્યમંદિર ખાતે 15મી ઑગષ્ટના રોજ આ વખતે પહેલીવાર ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. પદ્મશ્રી માલજીભાઈ દેસાઈના હસ્તે ધ્વજવંદન કરાશે. 12 બાય 8ની સાઇઝનો તિરંગો ફરકાવવામાં આવ્યો. જે હરહંમેશ માટે કાયમી ધોરણે સૂર્ય મંદિર ખાતે જ રખાશે. મહત્વનું છે કે અત્યાર સુધી સૂર્યમંદિર ખાતે વિશ્વ યોગ દિવસ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે પરંતુ આ પહેલીવાર હશે જ્યારે અહીં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે. ત્યારે આ અવસર આ વખતે યાદગાર બની રહેશે.
સૂર્ય મંદિરનું નિર્માણ રાજ વંશ સોલંકી કુળે કર્યું
સૂર્ય મંદિરનું નિર્માણ કરાવનારો રાજ વંશ સોલંકી કુળનો હતો. સોલંકી વંશને સૂર્યવંશી પણ કહેવાતો હતો. તેઓ સૂર્યને કુળદેવતાના રૂપમાં પૂજતા હતા તેથી તેમણે પોતાના આદ્ય દેવતાની આરાધના માટે એક ભવ્ય સૂર્ય મંદિર બનાવવાનો નિર્ણય કર્યો અને આ પ્રકાર મોઢેરાના સૂર્ય મંદિરે આકાર લીધો. ભારતમાં ઓડિસાના કોર્ણાક અને બીજુ ગુજરાતના મોઢેરામાં આવેલું છે.
મોઢેરા સૂર્ય મંદિરનું વાસ્તુશિલ્પ
શિલ્પકલાન અદ્દભૂત ઉદાહરણ રજૂ કરનારુ આ વિશ્વ પ્રસિધ્ધ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે સમગ્ર મંદિરના નિર્માણમાં ક્યાય પણ ચૂનાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. ઈરાની શૈલીમાં નિર્મિત આ મંદિરને સોલંકી ભીમદેવે બે ભાગમાં નિર્મિત કરાવ્યું હતું. પહેલો ભાગ ગર્ભગૃહનો અને બીજુ સભામંડપનો છે. મંદિરના ગર્ભગૃહના અંદરની લંબાઈ 51 ફૂટ, 9 ઈંચ અને પહોળાઈ 25 ફૂટ 8 ઈંચની છે.
મંદિરના સ્તંભો પર વિવિધ રામાયણ-મહાભારતના પ્રસંગોની કોતરણી
મંદિરના સભામંડપમાં કુલ 52 સ્તંભ છે. આ સ્તંભો પર વિવિધ દેવી-દેવતાઓના ચિત્રો અને રામાયણ અને મહાભારતના પ્રસંગોને કોતરીને તૈયાર કરાયા છે. આ સ્તંભોને નીચેની તરફ જોતા તેઓ અષ્ટકોણાકાર અને ઉપરની તરફ જોતા એ ગોળ દેખાય છે. તો સૂર્ય મંદિરની મુલાકાતે ન માત્ર દેશ પરંતુ વિદેશ પણ અનેક લોકો આવે છે.
સૂર્યનું પ્રથમ કિરણ મંદિરના ગર્ભગૃહમાં પડે છે
આ મંદિરની એક ખાસિયત છે કે સૂર્યનું પહેલુ કિરણ મંદિરના ગર્ભગૃહમાં પડે છે. તેના કારણે મંદિર ઝળહળી ઉઠે છે. આ મંદિરની આગળના ભાગમાં એક વિશાળ કુંડ આવેલો છે. જેને સૂર્ય કુંડ કે રામ કુંડ કહેવામાં આવે છે. અલ્લાઉદ્દીન ખિલજીએ પોતાના આક્રમણ દરમિયાન મંદિરને ખૂબ જ નુકશાન પહોંચાડ્યુ હતું અને મંદિરની મૂર્તિઓ તોડફોડ કરી હતી. હાલ ભારતીય પુરાતત્વ વિભાગે આ મંદિરને પોતાના સંરક્ષણમાં લઈ લીધું છે. દૂર-દૂરથી આવતા પર્યટકો મોઢેરાનું સૂર્ય મંદિર નિહાળી આનંદિત થઇ જાય છે. સૂર્ય મંદિર નિહાળવા માટે આવતા લોકો માત્ર એક પ્રવાસી તરીકે જ નહીં. પરંતુ ઇતિહાસિક ધરોહરને ઐતિહાસિક મહત્વપણ જાણવા માટે આવે છે.