રાજકોટમાં હોસ્પિટલના સ્ટાફ અને સારવાર અર્થે આવતા દર્દીઓને રાષ્ટ્રધ્વજ આપી ખ્યાતનામ તબીબ નિલાંગ વસાવડા ઘર ઘર તિરંગા અભિયાનમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે.
રાજકોટમાં તબીબ સ્ટાફ અને દર્દીઓને આપી રહ્યા છે રાષ્ટ્રધ્વજ
ઘર ઘર તિરંગા અભિયાનમાં તબીબનું યોગદાન
તિરંગોએ દેશભક્તિનું જીવંત સ્વરૂપ છે
રાષ્ટ્ર જયારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે આગામી 13થી 15ઓગસ્ટ દરમિયાન ઘર ઘર તિરંગા સાથે રાષ્ટ્રધ્વજની આન બાન શાન સાથે રાષ્ટ્રભક્તિની લહેર ઉઠવાની છે ત્યારે રાજકોટના તબીબ પોતાના સ્ટાફ સાથે હોસ્પિટલમાં નિદાન માટે આવતા દર્દીઓને સન્માન સાથે રાષ્ટ્રધ્વજ આપી અનોખું તિરંગા અભિયાન ચલાવી રહ્યા છે.
હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને સગાઓને તિરંગાની ભેટ
દેશભરમાં ઘર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે આ અભિયાનમાં રાજકોટના એક તબીબ અનોખુ યોગદાન આપી રહ્યા છે. રજકોટના એમ ડી સર્જન ડો નિલાંગ વસાવડાએ હર ઘર તિરંગા અભિયાનને પોતાની હોસ્પિટલમાં પણ લાગુ કર્યું છે. દેશપ્રેમની ભાવનાથી ભરપૂર ડો. વસાવડા અને તેઓના સ્ટાફને એક અનોખો વિચાર આવ્યો હતો. જેને અમલમાં લઈને તિરંગો માત્ર સરકારી કાર્યક્રમ પૂરતો ન રહે અને હર ઘરે પહોંચે એ માટે તેઓની હોસ્પિટલમાં આવતા દરેક દર્દીઓ અને તેઓના સગાઓને તિરંગો ભેટના સ્વરૂપમાં આપવામાં આવે છે.
લોકોમાં રાષ્ટ્રભાવના સ્થાપિત કરવાનો અનેરો પ્રયાસ
ડો. નિલાંગ વસાવડાએ VTV ન્યૂઝ સાથે કરેલી વતચીતમાં જણાવ્યું કે તિરંગોએ માત્ર ધ્વજ નથી પરંતુ દેશભક્તિનું જીવંત સ્વરૂપ છે. આ તિરંગા માટે હજારો દેશભક્તોએ બલિદાન આપ્યું છે અને આજે પણ સરહદ ઉપર નવલોહીયા જવાનો તિરંગાની આન બાન અને શાનને જીવંત રાખવા પોતાનો જીવ આપી રહ્યા છે. આથી હોસ્પિટલમાં રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રથી આવતા દરેક દર્દીના મનમાં રાષ્ટ્રભાવના સ્થાપિત થાય એ માટે તેઓ હોસ્પિટલમાં આવતા દરેલ દર્દીને તિરંગો ભેંટ આપવામાં આવી રહ્યો છે.