મોદી સરકારના આગામી પૂર્ણ કક્ષાના બજેટમાં કૃષિ ક્ષેત્રે મોટી રાહતોની જાહેરાત થઈ શકે છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ર૦રર સુધીમાં ખેતીમાં થતી આવક બમણી કરવાના લક્ષ્યને સિદ્ધ કરવા માટે ખેડૂતોને એગ્રિકલ્ચર લોન સહિત અન્ય બાબતોમાં રાહત આપવામાં આવશે. આગામી બજેટમાં ખેતીમાં લોંગ ટર્મ ફાયદા માટે ઇન્કમ સપોર્ટ રૂ.૬ હજારથી વધારીને ૮ હજાર કરવાની અપેક્ષા છે, જેનાથી ગ્રાહકોને પણ ફિલગુડ ફેક્ટરનો અનુભવ થશે.
રિપોર્ટમાં જણાવાયું છે કે આવકના ક્ષેત્રમાં સુધારા માટે ઇન્કમ સપોર્ટ અત્યંત જરૂરી યોજના છે અને દેશમાં ૧૪ કરોડ ખેડૂતોના જીવનનિર્વાહ માટે જરૂરી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ખેડૂતોને લાંબા સમય સુધી ઓછામાં ઓછાં પાંચ વર્ષ માટે મોટા પાયે ઇન્કમ સપોર્ટ ઉપલબ્ધ કરવો જોઇએ. રિપોર્ટમાં અપાયેલ ગણતરી મુજબ જો ટર્મિનલ યરમાં ઇન્કમ સપોર્ટ રૂ.૬૦૦૦થી વધારી રૂ.૮૦૦૦ કરાય તો ર૦ર૪માં રાજકોષીય ખાધ ઘટી જશે અને ૧૪ કરોડ ખેડૂતો માટે વાર્ષિક રૂ.૧ર હજાર કરોડનો વધારાનો ખર્ચ થવાનું અનુમાન છે.
એ જ રીતે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ હાલમાં ત્રણ જ પાક કવર થાય છે, પરંતુ હવે બજેટમાં આ યોજનામાં તમામ પ્રકારના પાકને વીમા કવચ અપાશે તેવી અપેક્ષા છે. આ ઉપરાંત રિપોર્ટ અનુસાર સરકારે તમામ રાજ્યમાં ગ્લોબલ વેલ્યૂ ચેઇન ડેવલપ કરવી જોઇએ અને લેન્ડ લીઝ માર્કેટમાં રાહત આપવી જોઇએ.
આવું કરવાથી મધ્યમથી લઇને લાંબા ગાળા માટે કોન્ટ્રાકટથી ખેતી કરવા માટે પ્રોત્સાહન મળશે. દેશમાં હવે ખેડૂતો ગ્રૂપ બનાવીને સહકારી ખેતી કરી શકશે અને કેન્દ્ર સરકારે એક એવો કાયદો બનાવ્યો છે, જે આ પ્રકારની ખેતીને પ્રોત્સાહન આપશે. હવે ખેડૂતો કિસાન સહકારી ખેતી માટે સહકારી સંસ્થા બનાવી શકે છે.