આપણા દેશમાં સૌથી પાયાની ગણાતી આરોગ્ય સેવાના ક્ષેત્રમાં જ ડૉક્ટરોની અછતથી આમ આદમી હેરાન-પરેશાન છે, પરંતુ હવે આવનારા સમયમાં બહુ ઝડપથી આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવવાનું છે. આગામી છ-સાત વર્ષમાં દેશમાં ડૉકટરોની તંગી સંપૂર્ણ રીતે દૂર થઈ જશે.
આયુષ્માન ભારત યોજના હેઠળ 75 નવી મેડિકલ કૉલેજો શરૂ થયા બાદ ડૉક્ટરોની અછત દૂર થશે
ભારતમાં 135 કરોડની વસ્તી માટે 13.5 લાખ ડૉકટરની જરૂર છે
આટલું જ નહીં, આયુષ્માન ભારત યોજનાના અમલ બાદ પછાત વિસ્તારોમાં 75 નવી મેડિકલ કૉલેજો શરૂ થવા સાથે નાના અને મધ્યમ શહેરોમાં અત્યાધુનિક હોસ્પિટલોની સ્થાપના બાદ પછાત અને ગ્રામીણ વિસ્તારોમાં ડૉકટરોની અછતની સમસ્યા પણ મોટાભાગે દૂર થઈ જશે.
ભારતમાં 135 કરોડની વસ્તી માટે 13.5 લાખ ડૉકટરની જરૂર
ઉલ્લેખનીય છે કે, દેશમાં હાલ લગભગ 4.5 લાખ ડૉકટરોની અછત છે. WHOના માપદંડો અનુસાર પ્રતિ હજાર લોકોની વસ્તીએ એક ડૉક્ટર જરૂરી છે. હકીકતમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના નિયત કરાયેલા માપદંડો અનુસાર પ્રતિ એક હજાર લોકોની વસ્તીદીઠ એક ડૉક્ટર હોવો જોઈએ. આ રીતે જોઈએ તો ભારતમાં 135 કરોડની વસ્તી માટે 13.5 લાખ ડૉકટરની જરૂર છે, પરંતુ દેશમાં ફક્ત નવ લાખ જ રજિસ્ટર્ડ ડૉકટર છે. એટલે કે દેશમાં 4.5 લાખ ડૉકટરોની તંગી છે. ગ્રામીણ અને પછાત વિસ્તારોમાં તો આ સમસ્યા વધુ ગંભીર બને છે, કારણ કે મોટાભાગના ડૉકટરો મોટા શહેરોમાં જ હોય છે.
નક્કર પગલાંથી સાત વર્ષમાં સમાપ્ત થઈ જશે આ સમસ્યા
કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી સાત વર્ષમાં આ સમસ્યા સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે અને આ માટે નક્કર પગલા લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, જો આપણે એક ડૉક્ટરની 40 વર્ષની સરેરાશ પ્રેક્ટિસના હિસાબે જોઈએ તો દેશમાં હાલના નવ લાખ ડૉકટરોમાંથી 23,000 ડૉકટર દર વર્ષે પ્રેક્ટિસથી બહાર થઈ જાય છે. હાલમાં મેડિકલ કૉલેજોમાં દર વર્ષે 80 હજાર વિદ્યાર્થીઓ એમબીબીએસમાં પ્રવેશ મેળવી રહ્યા છે. આ રીતે, દેશ હવે વાર્ષિક 57 હજાર વધારાના એમબીબીએસ ડૉકટરો આપવાની સ્થિતિમાં આવી ગયો છે.
75 નવી મેડિકલ કૉલેજો ખોલવાથી પણ થશે મોટો ફાયદો
અધિકારીએ જણાવ્યું કે, 75 નવી મેડિકલ કૉલેજો શરૂ થવાથી નવા ડૉક્ટરોની સંખ્યામાં પણ વધારો થશે. એવું માનવામાં આવે છે કે, ત્યારબાદ દર વર્ષે એમબીબીએસ બેઠકોની સંખ્યા વધીને લગભગ એક લાખ 20 હજાર થઈ જશે. મંત્રાલયના અંદાજ અનુસાર, આનાથી આગામી સાત વર્ષમાં દેશના ડૉકટરોની સંખ્યા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિર્ધારિત ધોરણો અનુસાર થઈ જશે.
સરકાર તબીબોની પર્યાપ્ત ઉપલબ્ધતાની ખાતરી કરવા ઉપરાંત ગ્રામીણ અને પછાત વિસ્તારોમાં તેમની હાજરી વધારવાની પણ તૈયારી કરી રહી છે. આયુષ્માન ભારત અભિયાનની સફળતાની સાથે સાથે દેશની હોસ્પિટલોમાં આશરે 1.5 લાખ વધારાના બેડ (પથારી) ની જરૂર પડશે. સરકારના પ્રયાસ છે કે તેમાંથી મોટાભાગના એટલે કે એક લાખ બેડની ઉપલબ્ધતા મધ્યમ અને નાના શહેરોમાં સુનિશ્ચિત થાય અને આ માટે નીતિ આયોગને એક નીતિ ઘડવાનું પણ કહેવામાં આવ્યું છે.