હવેથી દેશમાં બે અલગ-અલગ દિવસો પર તહેવાર નહીં ઉજવાય કારણ કે મોદી સરકાર એ માટે મહત્વનું પગલું ઉઠાવવા જઇ રહી છે.
કેન્દ્ર સરકારની મહત્વની પહેલ
દેશમાં બનશે રાષ્ટ્રીય કેલેન્ડર
દેશના ખૂણે-ખૂણે રહેશે તહેવારોની એકસરખી તારીખ
ઘણી વાર આપણે જોયું હશે કે એક જ તહેવાર, તિથિ જુદી-જુદી જગ્યાએ અલગ-અલગ તારીખે ઉજવવામાં આવે છે. તેની પાછળનું કારણ અલગ-અલગ પંચાંગમાં આપવામાં આવેલી અલગ-અલગ તારીખો હોય છે. પરંતુ હવે આ સમસ્યા દૂર થવા જઈ રહી છે. કારણ કે, હવેથી દેશમાં તહેવારની ઉજવણી માટે માત્ર એક જ તારીખ રહેશે. એ માટે કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારની પહેલ પર હવે એક રાષ્ટ્રીય કેલેન્ડર તૈયાર કરવામાં આવશે કે જેમાં દરેક તહેવારની ઉજવણી માટે એક જ તારીખ રહેશે. આ સિવાય અંગ્રેજી કેલેન્ડરના બદલે હવે ભારતીય કેલેન્ડરને માન્યતા આપવામાં આવશે.
એ માટે દેશભરમાંથી 300 વિદ્વાનો બે દિવસ ઉજ્જૈનમાં મંથન કરશે. આ સાથે જ વ્રત, તહેવારો, તિથિઓને લઈને પણ વિવિધ પ્રદેશોમાં પંચાંગના કારણે ઉદ્ભવતા મતભેદોનો હવે અંત આવશે. આ ઉપરાંત તહેવારોની અલગ-અલગ તારીખોના કારણે અલગ-અલગ રાજ્યોમાં સરકારી રજાઓની તારીખો પણ અલગ-અલગ હોય છે. જેના કારણે લોકોએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.
આઝાદીની 75મી વર્ષગાંઠ પર પહેલ
દેશની આઝાદીની 75મી વર્ષગાંઠના સંદર્ભમાં કેન્દ્ર સરકારે ભારતીય કેલેન્ડરને માન્યતા આપવા માટે આ પહેલ કરી છે. આ અંતર્ગત ભારતના ભારતીય રાષ્ટ્રીય કેલેન્ડર પર વિક્રમ યુનિવર્સિટીમાં 22-23 એપ્રિલના રોજ દેશભરના વિદ્વાનો દ્વારા રાષ્ટ્રીય પરિસંવાદ અને પંચાંગ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય, સેન્ટ્રલ સાયન્સ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ, વિજ્ઞાન પ્રસાર, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટાર ફિઝિક્સ, એસ્ટ્રોનોમી સેન્ટર, વિજ્ઞાન ભારતી, ધારા, એમપી સાયન્સ-ટેક્નોલોજી કાઉન્સિલ, વિક્રમ યુનિવર્સિટી અને પાણિની સંસ્કૃત યુનિવર્સિટી ઉજ્જૈન વગેરે ભાગ લઈ રહ્યાં છે.
અગાઉ 1952માં દેશમાં સમાન કેલેન્ડર માટે કેલેન્ડર રિફોર્મ કમિટીની રચના કરવામાં આવી હતી. પરંતુ બાદમાં આ મામલો આગળ વધ્યો ન હતો. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ફરીથી તેની પહેલ શરૂ કરી છે.
જાણો કેમ કરવામાં આવી ઉજ્જૈનની પસંદગી?
ઉજ્જૈનની ગણતરી એ પ્રાચીન કેન્દ્ર તરીકે કરવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ અહીંના સમયની ગણતરીને જ સમગ્ર દુનિયામાં માન્યતા હતી. આ સિવાય ઉજ્જૈન કર્ક રાશિ પર આવેલું છે, જેના કારણે અહીંના સમયની ગણતરી પણ સૌથી સચોટ છે. આ જ કારણે રાજા જયસિંહે પણ ઉજ્જૈનમાં એક વેધશાળાની સ્થાપના કરી હતી.