યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ પહેલાં જ મદરેસા બોર્ડે અનેક મહત્વનાં નિર્ણયો લઇ લીધાં છે. જેમાં રાજ્યમાં મદરેસામાં રાષ્ટ્રગાન ફરજિયાત કરી દેવાયું છે.
ઉત્તર પ્રદેશની મદરેસાઓમાં રાષ્ટ્રગાન ગાવાનું ફરજિયાત કરાયું
વર્ગો શરૂ થતા પહેલાં તમામ બાળકોએ રાષ્ટ્રગીત ગાવાનું રહેશે
ઉત્તર પ્રદેશ મદરેસા એજ્યુકેશન કાઉન્સિલે લીધાં અનેક નિર્ણયો
યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ પહેલાં જ મદરેસા બોર્ડે રાજ્યમાં મદરેસા શિક્ષણની ગુણવત્તા વધારવા અને ભ્રષ્ટાચારને ડામવા માટે અનેક કડક પગલાં લીધા છે. ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષા પરિષદની બેઠકમાં આ ક્રમમાં ઘણાં ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. નવા સત્રથી, રાજ્યની તમામ સહાયિત અને બિન-સહાયિત મદરેસામાં પ્રાર્થના સાથે રાષ્ટ્રગાન (જન-ગણ-મન) ગાવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે મળીને રાષ્ટ્રગાન ગાશે.
જો કે, શક્ય છે કે યોગી આદિત્યનાથની યુપીમાં ફરીથી સરકાર રચાતાની સાથે જ યોગી આદિત્યનાથ પણ આવાં અનેક પ્રકારનાં નિર્ણયો લઇ શકે છે. જો કે, એ પહેલાં જ મદરેસા બોર્ડે મદરેસામાં રાષ્ટ્રગાન ફરજિયાત કરી દીધું છે.
પરિષદે ગુરુવારે પોતાની બેઠકમાં મદરેસા શિક્ષણમાં સુધારણા અંગે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધાં. MTET ના માધ્યથી મદરેસામાં શિક્ષકોની નિમણૂંક TETની તર્જ પર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. શિક્ષકોની સમયસર હાજરી સુનિશ્ચિત કરવા બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવામાં આવશે. એટલું જ નહીં, જો મદરેસામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હશે તો અન્ય મદરેસામાં શિક્ષકોનું એડજસ્ટમેન્ટ કરવામાં આવશે.
વર્ષ 2022ની પરીક્ષાઓ 14 મે થી 27 મે દરમિયાન લેવાનો નિર્ણય
બેઠકમાં મુનશી-મૌલવી, આલીમ, કામિલ અને ફાઝીલની પરીક્ષા 14 મેથી 27 મે દરમિયાન લેવાનું પણ નક્કી કરવામાં આવ્યું. 20 મે બાદ માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં ઉનાળાના વેકેશન અને યુપી બોર્ડની ઉત્તરવહી મૂલ્યાંકનના કારણે કોલેજો ખાલી ન હોય તો મદરેસામાં મદરેસા બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે. ગુરુવારે મદરેસા બોર્ડના પ્રમુખ ઈફ્તિખાર અહેમદ જાવેદની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
બોર્ડની પરીક્ષામાં હશે 6 પ્રશ્નપત્રો
તદુપરાંત હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન વગેરે વિષયોની પરીક્ષાઓ લેવાશે. એટલે કે મદરેસા બોર્ડની પરીક્ષાઓમાં હવે 6 પ્રશ્નપત્ર હશે. તેમજ સમયાંતરે સર્વે કરીને જાણવા મળશે કે મદરેસા શિક્ષકોના બાળકો મદરેસામાં અભ્યાસ કરે છે કે અન્ય શાળામાં.