વલસાડની કુસુમ વિદ્યાલયમાં મારો આદર્શ નથુરાન ગોડસે વિષય પર યોજાઇ વકતૃત્વ સ્પર્ધા. ગોડસેને હીરો તરીકે ચીતરનાર સ્પર્ધક પ્રથમ નંબરે આવ્યો
વલસાડની શાળામાં નથુરામ ગોડસેને હીરો ચિતરતા વિવાદ
તિથલ રોડ પર આવેલી કુસુમ વિદ્યાલયની ઘટના
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો તપાસનો આદેશ
ગાંધીનું ગુજરાત કહેવાય તો છે પરંતુ ગાંધી વિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અપાઇ રહ્યું હોવાનુ સામે આવ્યુ છે. પાછુ પ્રોત્સાહન આપનાર બીજુ કોઇ નહી પરંતુ જીવનના પાઠ ભણાવનાર ગુરુઓ. એટલે કે શિક્ષકો દ્વારા જ બાળકોને આવા અવળા રસ્તે ચઢવવાનું કાર્ય થઇ રહ્યું છે. નથુરામ ગોડસેને આપણે સૌ ઓળખીએ છીએ. તેઓના કાર્યથી આપણે વાકેફ છીએ. તેમ છતાં તેઓને હીરો ચિતરવામાં એક શૈક્ષિક સંસ્થાએ કંઇ બાકી નથી રાખ્યુ જેને પરિણામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
' મારો આદર્શ નથુરામ ગોડસે '
વલસાડની તિથલ રોડ પર આવેલી કુસુમ વિદ્યાલય સ્કૂલની આ વાત છે. શાળામાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેંમાં રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને ગોળી મારનાર નથુરામ ગોડસેને હીરો ચિતરતા વિવાદ થયો છે. આ સ્પર્ધામાં મારો આદર્શ નથુરામ ગોડસે આ વિષય રાખવામાં આવ્યો હતો જે મામલે વિવાદ શરુ થયો છે. આટલુ ઓછુ હોય તેમ ગોડસેને હીરો તરીકે ચીતરનાર સ્પર્ધક પ્રથમ નંબરે આવ્યો. ત્યારે અહીં સવાલ એ થાય છે કે શાળા એ વિદ્યાર્થીઓનું બીજુ ઘર છે. માતા પિતા પછી બાળકને કેળવવાનું કાર્ય શિક્ષક કરે છે. ત્યારે શાળામાં જ આવા ઉંધા પાઠ ભણાવવામાં આવે તો ગુજરાતનું ભાવિ ક્યાં પહોંચશે ?
જિલ્લા શિક્ષણાધિકારી અજાણ
કુસુમ વિદ્યાલયના ધોરણ 5થી8ના વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. વલસાડ જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું,. જેમાં મારો આદર્શ નથુરામ ગોડસે સહિત 3 વિષય રાખવામાં આવ્યા હતા. જો કે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી અજાણ છે. ગુજરાતના ભાવિને લઇને ખરેખર આ બાબત ચિંતાનો વિષય છે. કારણ કે શાળામાંથી જ વિદ્યાર્થીઓને જીવનના પાઠ શીખવવામાં આવે છે ત્યારે બાળકોને અવળા રસ્તે દોરતા શિક્ષકોને શરમ ન આવી ? શું આવી રીતે ગુજરાતનુ ભાવિ બનશે ઉજ્જવળ ? રાષ્ટ્રપિતાના હત્યારાને હીરો બનાવવાની કેવી રીતે હિંમત ચાલી ? ગાંધીજીના આદર્શો પર તમે ચાલી ન શકો તો કાંઇ નહી પરંતુ ગુજરાતના ભાવિને અવળે રસ્તે ચઢાવવાનો પરવાનો તમને કોણે આપ્યો ? કોણ હતો આ શિક્ષક જેણે વકતૃત્વ સ્પર્ધામાં આ વિષય રાખ્યો ? આ વિષય પર બોલનારને પ્રથમ નંબરે ઇનામ આપીને સાબિત શું કરવા માંગો છો ?
હર્ષ સંઘવીએ આપ્યા તપાસના આદેશ
તો સમગ્ર મામલે વીટીવી અહેવાલના અહેવાલ બાદ સરકાર એક્શનમાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘીએ યુવા અને સાંસ્કૃતિક વિભાગને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તેઓએ જણાવ્યુ કે જવાબદારો સામે પગલા લેવાશે.