નાસિક શહેરના પ્રસિદ્ધ પંચવટી વિસ્તારમાં ગોદાવરીના તટની પાસે કપાલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ભગવાન શિવજીએ અહીં નિવાસ કર્યો હતો તેવી વાત પુરાણોમાં કહેવામાં આવી છે. આ દેશની અંદર પહેલું મંદિર છે જ્યાં ભગવાન શિવજીની સામે નંદિ નથી. આ જ આની વિશેષતા છે.
અહીં નંદિ ન હોવા પાછળની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. એક દિવસ ઈંદ્રની ભરેલી સભામાં બ્રહ્મદેવ અને શંકર વચ્ચે વિવાદ થઈ ગયો. તે વખતે બ્રહ્મદેવને પાંચ મોઢાં હતાં. ચાર મોઢા વેદોનું ઉચ્ચારણ કરતાં હતાં અને પાંચમું નિંદા કરતું હતું. તે નિંદાથી કંટાળી જઈને શિવજીએ તે મોઢાને કાપી નાંખ્યું. તે મોઢું તેમને ચોંટીને બેસી ગયું.
આ ઘટનાને લીધે તેમને બ્રહ્મ હત્યાનું પાપ લાગી ગયું અને તે પાપથી મુક્તિ મેળવવા માટે તેઓ બ્રહ્માંડની અંદર ફરી રહ્યાં હતાં પરંતુ તેમને મુક્તિનો ઉપાય નહોતો મળી રહ્યો. એક દિવસ સોમેશ્વર બેઠા હતા ત્યાં તેમની સામે એક ગાય અને તેનું વાછરડું એક બ્રાહ્મણના ઘરની સામે ઊભાં હતાં. તે બ્રાહ્મણ વાછરડાના નાકમાં રસ્સી નાંખવાનો હતો. વાછરડું તેના વિરોધમાં હતું. બ્રાહ્મણના કૃત્યના વિરોધમાં વાછરડું તેને મારવા માગતું હતું.
તેવામાં જ ગાયે કહ્યું કે બેટા આવું ન કરીશ નહીતર તને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. ત્યારે વાછરડાએ કહ્યું કે બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ કેવી રીતે મળે તે મને ખબર છે. આ સંવાદ સાંભળી રહેલ શિવજીના મનમાં ઉત્સુકતા પેદા થઈ. વાછરડાએ નાકની અંદર રસ્સી નાંખવા માટે આવેલ બ્રાહ્મણનું પોતાના શીંગડાં વડે મૃત્યુ કરી દીધું. બ્રાહ્મણ માર્યો ગયો. ત્યાર બાદ તે વાછરડાનો રંગ કાળો પડી ગયો. ત્યાર બાદ વાછરડું નીકળી પડ્યું.
શિવજી પણ તેની પાછળ પાછળ ચાલી નીકળ્યા. વાછરડું ગોદાવરી નદીના રામકુંડમાં આવ્યું અને ત્યાં સ્નાન કર્યું. તે સ્નાનને લીધે બ્રહ્મ હત્યાનું પાપ ધોવાઈ ગયું અને વાછરડાને પોતાનો સફેદ રંગ ફરીથી પાછો મળી ગયો. ત્યાર બાદ શિવજીએ પણ રામકુંડમાં સ્નાન કર્યું. તેમને પણ બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મળી ગઈ.
આ ગોદાવરી નદીને કિનારે એક ટેકરી હતી. શિવજી ત્યાં ચાલ્યા ગયા. શિવજીને ત્યાં જતાં જોઈને (ગાયનું વાછરડુ) નંદિ પણ ત્યાં ગયું. નંદિને લીધે જ શિવજીને પાપમાંથી મુક્તિ મળી હતી. એટલા માટે તેમણે નંદિને ગુરુ માન્યો અને પોતાની સામે ન બેસવા માટે અનુરોધ કર્યો. આને લીધે જ આ મંદિરમાં નંદિ નથી. એવું કહેવામાં આવે છે કે આ નંદિ ગોદાવરીના રામકુંડમાં જ છે.
આ મંદિરનું ખૂબ જ મહત્વ છે. ૧૨જ્યોતિર્લિંગ બાદ આ મંદિર આવે છે તેવું માનવામાં આવે છે. પુરાતન કાળમાં આ ટેકરી પર શિવજીની પીંડી હતી. પરંતુ હવે અહીં વિશાળ મંદિર છે. પેશવાઓના કાર્યકાળ દરમિયાન આ મંદિરનો જીર્ણૉદ્ધાર થયો હતો. મંદિરની સીડીઓ ઊતરતાંની સાથે જ સામે ગોદાવરી વહેતી જોવા મળે છે. આ જ મંદિરની અંદર પ્રસિદ્ધ રામકુંડ છે. ભગવાન રામે પણ આ કુંડની અંદર પોતાના પિતા દશરથનું શ્રાદ્ધ કર્યું હતું. •