લોકો હવે ઈલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે. તેમાંયે ઈલેક્ટ્રિક સ્કૂટર્સમાં લોકોને વધારે રસ છે. પણ છેલ્લા થોડાક સમયથી ઈલેક્ટ્રિક સ્કૂટર્સમાં આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી છે.
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા લોકો ઈલેક્ટ્રિક વાહન તરફ વળ્યા
જો કે, ડર એવો પણ છે કે ઈલેક્ટ્રિક વાહનોમાં લાગે છે આગ
છેલ્લા થોડાક સમયથી આગ લાગવાની અનેક ઘટના સામે આવી
દેશમાં હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગ લાગેલી છે. ત્યારે આવા સમયે લોકો ઈલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે. તેમાંયે ઈલેક્ટ્રિક સ્કૂટર્સમાં લોકોને વધારે રસ છે. પણ છેલ્લા થોડાક સમયથી ઈલેક્ટ્રિક સ્કૂટર્સમાં આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે આવો એક મોટો બનાવ મહારાષ્ટ્રના નાશિકમાંથી સામે આવ્યો છે. અહીં ફેક્ટરીમાંથી કાઢીને મોકલવામાં આવી રહેલા 20 ઈલેક્ટ્રિક સ્કૂટર્સમાં આગ લાગી ગઈ હતી. આ સ્કૂટર્સને જિતેન્દ્ર ઈવી નામની કંપની બનાવી રહી હતી. માનવામાં આવે છે કે, દેશમાં આ પ્રકારની આ પહેલી મોટી ઘટના છે. જ્યાં આટલી મોટી સંખ્યામાં ઈલેક્ટ્રિક સ્કૂટર્સમાં આગ લાગી હોય.
આગ લાગવાના કારણોની તપાસ
તો વળી જિતેન્દ્ર ઈવીએ પણ આ આગની ઘટનાની પુષ્ટિ કરી છે. તેમનું કહેવુ છે કે, આ ઘટના પાછળના કારણોની હાલમાં તપાસ ચાલી રહી છે.કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આગની ઘટના 9 એપ્રિલે ફેક્ટરીના ગેટ પાસે થઈ હતી. તેમાં સ્કૂટર્સમાં આગ લાગી ગઈ હતી. જો કે, આ ઘટના પર અમારી ટીમે તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લીધો હતો. અમારા માટે સુરક્ષા પહેલી પ્રાયોરિટી છે. આ મામલામાં તપાસ થઈ રહી છે. આખરે કેવી રીતે ઈલેક્ટ્રિક સ્કૂટર્સમાં આગ લાગી ગઈ. ટૂંક સમયમાં તેના પરિણામો વિશે પણ જણાવીશું.
પરિવહન મંત્રાલય પણ આ મુદ્દે ગંભીર
ઈલેક્ટ્રિક સ્કૂટર્સમાં આગની ઘટનાને લઈને કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલય ખૂબ જ ગંભીર છે. મંત્રાલય કંપનીના પ્રતિનિધિઓના તપાસ રિપોર્ટ માગવાની પ્રક્રિયા પુરી કરી રહ્યું છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર જિતેન્દ્ર ઈવીએ 2021-22માં 3788 ટુ વ્હીલર્સ, જ્યારે એક વર્ષ પહેલાના સમયમાં 619નું વેચાણ કર્યું હતું.
2021-22 દરમિયાન કુલ 2.31 લાખ ઈલેક્ટ્રિક ટૂ વ્હીલર્સનું વેચાણ થયું હતું. છેલ્લા કેટલાક અઠવાડીયામાં ઈલેક્ટ્રીક સ્કૂટરમાં અચાનક આગ લગાવાની પાંચેક જેટલી ઘટના સામે આવી છે.