શહેરના નારોલ વિસ્તારના પટેલ એસ્ટેટમાં બે દિવસ પહેલાં જમીનમાંથી થયેલા ભેદી બ્લાસ્ટના કારણે મોતને ભેટેલા બે મજૂરોના ચકચારી કેસમાં ઇસનપુર પોલીસે કેમિકલની દુકાનના માલિક અશ્વિન રસિકલાલ આશરાની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધ તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
બ્લાસ્ટ થવા પાછળનું કારણ હજી સુધી અકબંધ છે પરંતુ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે બે મજૂરોનાં શરીર છિન્નવિચ્છિન્ન થઇ ગયાં હતાં. બે મહિના પહેલાં આ જ કામ માટે દુકાનના માલિક અશ્વિનભાઈએ મજૂર બોલાવીને ખોદકામ કરાવ્યું હતું જ્યાં બ્લાસ્ટ થતાં મજૂર ઈજાગ્રસ્ત થયો હતો. તેમ છતાં અશ્વિનભાઈએ આ ઘટનાને હળવાશથી લેતાં ફરીથી ત્યાં બાથરૂમ બનાવવા માટે ખોદકામ કરાવ્યું હતું. જેના કારણે આ દુર્ઘટના બની હતી.
નારોલ વિસ્તારમાં આવેલ પટેલ એસ્ટેટમાં તારીખ ૨૦ જૂનના રોજ બપોરે બે મજૂરો ખોદકામ કરી રહ્યા હતા ત્યારે જમીનમાંથી અચાનક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે એક કિલોમીટર સુધી તેનો અવાજ આવ્યો હતો અને કામ કરતા બે મજૂરોનાં શરીરનાં ટુકડેટુકડા થઇ ગયાં હતાં.
આ ઘટનાથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસ તેમજ ફાયરબ્રિગેડની ટીમ તેમજ એફએસએલ અને ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બ્લાસ્ટનું સાચું કારણ શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં. પોલીસે બન્ને મજૂરોની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી.
બન્ને મજૂરો મૂળ દાહોદના છે અને ઇસનપુર મોની હોટલની પાછળ છાપરાંમાં રહે છે. ગઇ કાલે રાત્રે મોની હોટલના ખાંચામાં તલાવડીના છાપરાંમાં રહેતા પ્રકાશ ગોવિંદભાઇ ડામોરે આ બ્લાસ્ટના ચકચારી કેસમાં દુકાનના માલિક અશ્વિનભાઇ રસિકલાલ આશરા (રહે મહેચ્છ સોસાયટી, ઇસનપુર) વિરુદ્ધમાં સાપરાધ મનુષ્ય વધની તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં કરી છે.
ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે પ્રકાશના પિતા ગોવિંદભાઇ કડિયાકામ કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. બે મહિના પહેલાં પટેલ એસ્ટેટમાં આવેલ નાઇન કેમિકલની દુકાન ધરાવતા અશ્વિનભાઇ રસિકલાલ આશરાએ ગોવિંદભાઇને બાથરૂમ બનાવવા માટેનો ૪૦ હજારનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
તારીખ ૨૨ એપ્રિલના રોજ ગોવિંદભાઇએ બાથરૂમ બનાવવા માટે જમીનમાં ખાડો ખોદવા માટે ત્રિકમ માર્યું ત્યાં અચાનક જ વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ગોવિંદભાઇને નાના મોટી ઇજાઓ પહોંચી હતી. જ્યાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ કેસ થાય નહીં તે માટે અશ્વિનભાઇ તરત જ ગોવિંદભાઇને મળવા માટે હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને ધડાકો થવાનાં કારણે ઇજા થઇ છે તેવું કોઇને નહીં કહેવા માટેની વાત કરી હતી અને પાંચ હજાર રૂપિયા આપ્યા હતા.
ગોવિંદભાઇને હોસ્પિટલથી ડિસ્ચાર્જ લઇને સીધા દાહોદ તેમના વતન જતા રહ્યા હતા. થોડક સમય બાદ અશ્વિનભાઇએ પ્રકાશને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો અને જ્યાં તેમને કહ્યું હતું કે તારા બાપા પટેલ એસ્ટેટમાં કામ અધૂરું મૂકીને જતા રહ્યા છે તો તે કામ તું પૂરું કરી આપ. તારા બાપા કામના પૈસા પણ લઇ ગયા છે. અશ્વિનભાઇની વાત સાંભળીને પ્રકાશે તેમને જવાબ આપતાં કહ્યું હતું કે તે વખતે ત્યાં ધડાકો થયો હતો અને મારા બાપાને આ ધડાકાના કારણે ઇજા પહોંચી હતી હું કામ કરવા આવું ત્યારે પણ આવું થાય તો..
પ્રકાશની વાત સાંભળીને અશ્વિને કહ્યું કે તે વખતે ગટર ઉપર ત્રિકમ વાગ્યું હશે એટલે ધડાકો થયો હશે અને હવે બધું સાફ કરાવી દીધું છે અને ત્યાં કોઇ જોખમ જેવું નથી અને હવે કોઇ ધડાકો થવાનો નથી તારે ડરવાની જરૂર નથી અને હવે તું તારા બાપાએ અધૂરું રાખેલ કામ પૂરું કરી દે..
અશ્વિનભાઇની વાત પર વિશ્વાસ કરીને પ્રકાશ તેના પિતરાઇ ભાઇ કાળુ ડામોર અને માસિયાઇ ભાઇ આશિષ પારધીને લઇને કામ કરવા માટે એ્સ્ટેટ પહોંચ્યો હતો. એસ્ટેટ પર પહોંચ્યા ત્યારે અશ્વિનભાઇ આવ્યા હતા અને કામ સમજાવીને જતા રહ્યા હતા. દરમિયાનમાં પ્રકાશ મસાલો લેવા પાનપાર્લર પર ગયો ત્યારે અચાનક જ બ્લાસ્ટ થયો હતો. જેમાં કાળુ અને આશિષનાં મોત થયાંં હતાં.