નરોડા-ચિલોડાને જોડતા બ્રિજનું આજે CMના હસ્તે લોકાર્પણ કરાશે. જેના લીધે વાહનચાલકોએ હવે 3 કિમી ઓછું ફરીને જવું પડશે.
અમદાવાદીઓને આજથી ટ્રાફિક સમસ્યામાંથી મળશે મુક્તિ
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે બ્રીજનું લોકાર્પણ કરાશે
હવે વાહનચાલકોએ 3 કિમી ઓછું ફરીને જવું પડશે
અમદાવાદમાં છેલ્લાં ચારેક મહિનાથી તૈયાર થઇ ગયેલો નરોડા-ચિલોડાને જોડતા બ્રિજને આજે ખુલ્લો મુકાશે. CM ભૂપેન્દ્ર પટેલ આ બ્રિજનું લોકાર્પણ કરશે. જેના કારણે નરોડાથી ચિલોડા તરફ જતા ટ્રાફિકનું ભારણ ઘટશે. જણાવી દઇએ કે, આ બ્રિજ બનીને તૈયાર હોવા છતાં તેના લોકાર્પણને લઇને બંધ રખાયો હતો. આ બ્રિજને લઈને મહિનાથી તેના નામકરણને લઇને તેમજ તેના લોકાર્પણને લઇને વિવાદ ચાલતો હતો. ત્યારે આજે આ વિવાદનો અંત આવશે. આ બ્રિજ શરૂ થતા વાહનચાલકોએ હવે 3 કિમી ઓછું ફરીને જવું પડશે. તેમજ ચિલોડા-નરોડાને ટ્રાફિક સમસ્યાથી પણ મુક્તિ મળશે.
ગઇકાલે નરોડાના MLA બલરામ થવાણી સ્થાનિક લોકોના રોષનો ભોગ બન્યા હતા
ઉલ્લેખનીય છે કે, આ બ્રિજને લઇને ગઇકાલે નરોડાના MLA બલરામ થવાણીએ ત્યાંના સ્થાનિક લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. અમદાવાદમાં નરોડા રેલવે ઓવરબ્રિજને લઇને સ્થાનિક લોકોએ ધારાસભ્ય બલરામ થવાણીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. જેના કારણે ધારાસભ્યએ ત્યાંથી ભાગવાનો વારો આવ્યો હતો. નરોડાનો આ બ્રિજ છેલ્લાં 4 મહિનાની બનીને તૈયાર થઇ ચૂક્યો છે. તેમ છતાં ઉદ્ઘાટન કરવામાં નથી આવ્યું. જેથી સ્થાનિકોએ બ્રિજનું નામ બદલીને 'સંત રોહીદાસ ઓવરબ્રિજ' નામ આપી દીધું. આ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન નહીં થવાથી લોકો 4 કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા છે. જેથી સ્થાનિકોએ ધારાસભ્ય બલરામ થવાણીનો ઘેરાવો કર્યો હતો.
ઉદ્ઘાટન પહેલાં સંત શ્રી રોહિદાસ બ્રિજ નામની તકતી લગાવી દેવાઇ
વધુમાં જણાવી દઇએ કે, શહેરના નવનિર્મિત નરોડા રેલવે ઓવરબ્રિજ છેલ્લાં મહિનાથી તૈયાર થઇ ગયો હોવા છતાં તેનું હજુ સુધી ઉદ્ઘાટન નથી કરવામાં આવ્યું. જેના લીધે ત્યાંના સ્થાનિક લોકો 4 કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા છે. જેના કારણે સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. આથી આ બ્રિજ હવે વિવાદાસ્પદ બ્રિજ બની ગયો છે. બ્રિજનું ઉદ્ઘાટન થાય એ પહેલાં જ સંત શ્રી રોહિદાસ બ્રિજના નામની તકતી સ્થાનિક દલિત સમાજના લોકો દ્વારા લગાવી દેવાઇ. તેઓની માંગ છે કે, આ ઓવરબ્રિજ સંત રોહીદાસના નામે હોવો જોઈએ.